Get The App

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા 1 - image

- ઠંડી વધે તે પહેલા 120થી વધુ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

- આ વર્ષે ઘૂસણખોરીના ચાર પ્રયાસ, આઠ આતંકીઓ માર્યા ગયા, સુરક્ષાદળોની ચાંપતી નજર : બીએસએફ

Jammu and Srinagar News : ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકેમાં અનેક આતંકી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતા એલઓસી પાર કેટલાક આતંકી લોન્ચપેડ હજુ પણ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો બીએસએફના કાશ્મીર ફ્રંટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે કર્યો હતો.  માહિતી મુજબ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પીઓકેમાં સરહદ પાસે ફરી 70 જેટલા લોન્ચપેડ સક્રિય કર્યા છે.  

સુરક્ષાદળોએ ખુલાસો કર્યો છે કે શિયાળાની કડકડતી ઠંડી શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાન આતંકીઓને સરહદ પાર કરાવી ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે. આશરે 120થી વધુ આતંકીઓ સરહદ પર ઘૂસણખોરી માટે સક્રિય થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે આ આતંકીઓ માટે પીઓકેમાં સરહદથી થોડે દૂર 69 લોન્ચપેડ સક્રિય છે. આ પરિસ્થિતિ વચ્ચે સૈન્ય દળો પણ એલર્ટ છે અને કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી ટાળવા તૈયાર છે. 

બીએસએફના અધિકારીએ સોમવારે પ્રેસ કોન્ફરંસમાંવધુમાં ખુલાસો કર્યો હતો કે આ વર્ષે બીએસએફએ એલઓસી પર સૈન્ય અનો પોલીસની મદદથી ઘુસણખોરીના ચાર પ્રયાસોને નિષ્ફળ બનાવીને આઠ આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઉપરાંત ઘાટીમાં અંતરિયાળ વિસ્તારોમાં સૈન્ય અને પોલીસની સાથે મળીને બીએસએફ દ્વારા ૨૨ જેટલા સંયુક્ત ઓપરેશનો ચલાવાયા. અનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જે દરમિયાન અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલમાં સરહદ પર કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી પર નજર રાખવા માટે અતિ આધુનિક ઉકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.