How Safe Are EVs? 23,865 Accidents, 26 Fires Reported in India | ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) પ્રત્યે લોકોનો રસ ઝડપથી વધ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ, પ્રદૂષણ ઘટાડવાનું દબાણ અને સરકારની પ્રોત્સાહક યોજનાઓને કારણે ઘણાં લોકો EV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોમાં અવાજ ઓછો થાય છે, ધુમાડો નથી નીકળતો અને લાંબા ગાળે ખર્ચ પણ ઓછો રહે છે, આ કારણો EV ને લોકપ્રિય બનાવી રહ્યા છે. પરંતુ ઝડપથી વધતી લોકપ્રિયતા સાથે EV સંબંધિત કેટલાક જોખમો પણ છે. ખાસ કરીને બેટરીને કારણે લાગતી આગ અને અકસ્માતની ઘટનાઓએ EVની સલામતી સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.
દેશમાં 3 વર્ષમાં 23,865 અકસ્માત!
કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય (Ministry of Heavy Industries) દ્વારા સંસદમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, દેશમાં ત્રણ વર્ષમાં EV સાથે સંકળાયેલા કુલ 23,865 માર્ગ અકસ્માત નોંધાયા છે. તેમાંથી 26 ઘટનાઓમાં આગ લાગી હતી. આંકડા કહે છે કે, EVના વધતા વેચાણને લીધે અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળ્યો છે.
EV સંબંધિત અકસ્માત અને આગની વર્ષવાર માહિતી
- 2023 – 5,594 અકસ્માત, 8 આગ
- 2024 – 7,817 અકસ્માત, 9 આગ
- 2025 – 10,454 અકસ્માત, 9 આગ
કુલ- 23,865 અકસ્માત, 26 આગ
આ આંકડા ચિંતા ઉપજાવે એવા છે. આ માહિતી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ઇલેક્ટ્રોનિક અકસ્માત અહેવાલ પોર્ટલ પરથી લેવાઈ છે. 14 નવેબ્મર, 2022થી EV સંબંધિત અકસ્માતોની વિગતો અલગથી નોંધવામાં આવે છે.

EVમાં આગનું મુખ્ય કારણ, જે ચલાવે એ જ જલાવે
નિષ્ણાતોના મતે, EVમાં આગ લાગવાનું મુખ્ય કારણ લિથિયમ-આયન બેટરી હોઈ શકે છે.
- બેટરીમાં ગરમી વધવી, ટેક્નિકલ ખામી સર્જાવી, ઓવરચાર્જિંગ અથવા અકસ્માત દરમિયાન બેટરીને નુકસાન થવું, એવા બધા કારણો આગ લગાડતા હોવાની સૌથી વધુ શક્યતા છે.
- ક્યારેક બેટરીમાં થતી ‘થર્મલ રનઅવે’ પ્રક્રિયા આગને ઝડપથી ફેલાવે છે, જેના કારણે આગ બુઝાવવી મુશ્કેલ બને છે. થર્મલ રનઅવે (Thermal Runaway) એટલે એવી પ્રક્રિયા જેમાં બેટરીની અંદર તાપમાન અચાનક અને બેકાબૂ રીતે વધવા લાગે છે, જેના કારણે આગ કે વિસ્ફોટ થઈ શકે છે.
વૈશ્વિક સ્તરે EV માં લાગેલી આગના આંકડા
EVમાં આગ લાગવી એ માત્ર ભારતની સમસ્યા નથી; વિશ્વભરમાં આવા કિસ્સા નોંધાયા છે.
- અમેરિકામાં થયેલા સંશોધન મુજબ દર 1 લાખ EV વાહનોમાં અંદાજે 25 આગની ઘટનાઓ નોંધાય છે. તેની સામે, પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં આ દર પ્રતિ 1 લાખે 1,500 જેટલો છે.
- ચીનમાં EVના ઉપયોગમાં ભારે વધારો થયો છે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેટરીમાં આગ લાગવાના અનેક કેસ નોંધાયા છે. ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.
- યુરોપિયન દેશોમાં EV આગના કેસો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કદાચ એટલા માટે કેમ કે ત્યાં સલામતી નિયમો વધુ કડક છે.
વૈશ્વિક આંકડા દર્શાવે છે કે EVમાં આગનું જોખમ તો છે, પરંતુ EVની તુલનામાં પરંપરાગત ઇંધણવાળા વાહનોમાં આગની સંભાવના વધુ છે, એ પણ હકીકત છે.
આગના કારણો શોધવા નિષ્ણાતોની તપાસ
ભારતમાં EVમાં આગ લાગવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે 2022માં વિશેષ તપાસ સમિતિ રચી હતી, જેમાં DRDO, IISc બેંગ્લોર અને નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી, વિશાખાપટ્ટનમના નિષ્ણાતોને સામેલ કરાયા હતા. આ સમિતિ બેટરીમાં આગ લાગવાના કારણો શોધીને બેટરી ડિઝાઇન, ઉત્પાદન પ્રક્રિયા, ચાર્જિંગ પદ્ધતિ અને વાહન સુરક્ષા જેવા સલામતી ધોરણોનો અભ્યાસ કરવાનું કામ કરે છે.
સલામતી નિયમોમાં સુધારા કરાયા
નિષ્ણાતોની ભલામણ પછી સરકારે EV સલામતી માટે નવા નિયમો અમલમાં મૂક્યા.
- 28 સપ્ટેમ્બર, 2022ના રોજ ટ્રેક્શન બેટરી માટે નવા ટેક્નિકલ ધોરણો જાહેર કરાયા.
- 1 ડિસેમ્બર, 2022ના રોજ નવા બેટરી સલામતી નિયમો અમલમાં આવ્યા.
- 19 ડિસેમ્બર, 2022ના રોજ તમામ EV ઉત્પાદકો માટે સુરક્ષા ધોરણોનું પાલન ફરજિયાત બનાવાયું.
આ નિયમો ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, પેસેન્જર અને કાર્ગો EV માટે લાગુ પડે છે.
ઉત્પાદકો માટે કડક નિયમો બનાવાયા
હવે EV બનાવતી કંપનીઓએ ફરજિયાતપણે દરેક વાહનનું સલામતી પરીક્ષણ કરવું પડે છે, જેમાં બેટરીની ગુણવત્તા, હીટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓવરચાર્જ પ્રોટેક્શન જેવી બાબતોનો સમાવેશ થાય છે.
શું EVનું ભવિષ્ય ધૂંધળું છે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે EVના ઉપયોગ અથવા ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનો કોઈ વિચાર નથી. સરકારનું મુખ્ય ધ્યાન સલામતી સુધારવા, પ્રદૂષણ ઘટાડવા અને આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા પર છે. EV ભવિષ્યમાં પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે, પરંતુ સલામતી અને ટેક્નોલોજી સુધારવા માટે સતત પ્રયાસ પણ જરૂરી છે.


