Get The App

અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી 1 - image

 WMO-NASA Predict Weak Monsoon : WMO અને NASAએ ચેતવણી આપી છે કે, વર્ષ 2026માં અલ-નીનો સક્રિય રહેશે. ભારતમાં ચોમાસું નબળું રહેવાની, જુલાઈ-ઑગસ્ટમાં 50-70% ઓછો વરસાદ પડવાની અને ભીષણ લૂ (હીટવેવ) આવવાની આશંકા છે. આનાથી જળ સંકટ ઘેરું બની શકે છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને(WMO) ચેતવણી આપી છે કે, પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે, જે વર્ષના અંત સુધી યથાવત્ રહી શકે છે. WMOના જણાવ્યા અનુસાર, જૂનથી ઑગસ્ટ 2026 દરમિયાન 80 ટકા અને નવેમ્બર સુધીમાં 90 ટકાથી વધુ સંભાવના છે કે, અલ-નીનો સક્રિય રહેશે. આ કુદરતી આબોહવા પરિવર્તનની ઘટના ભારતના ચોમાસા, તાપમાન અને કૃષિ ક્ષેત્રને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે(IMD) પહેલાથી જ ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની આગાહી કરી છે, અને અલ-નીનો આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યું છે.

વરસાદમાં ભારે ઘટાડો અને તાપમાનમાં વધારો

WMO અનુસાર, આ વખતે જુલાઈ અને ઑગસ્ટમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ સામાન્ય કરતાં 50થી 70 ટકા ઓછો થઈ શકે છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની સંભાવના 60-70 ટકા જેટલી છે. NASAની સેટેલાઇટ તસવીરોએ પણ પુષ્ટિ કરી છે કે, ટ્રોપિકલ પેસિફિકમાં ગરમ પાણી ફેલાઈ રહ્યું છે. ટ્રેડ વિન્ડ્સ નબળા પડવા અને સમુદ્રની સપાટી ઊંચી આવવાને કારણે અલ-નીનોની શરૂઆત સ્પષ્ટ દેખાઈ રહી છે. સતત ત્રણ વર્ષના લા-નીના બાદ હવે અલ-નીનો પરત ફરી રહ્યું છે, જે હવામાનને વધુ અનિશ્ચિત બનાવી રહ્યું છે.

દુષ્કાળ અને ભીષણ ગરમીનો પ્રકોપ

જૂન 2026 સુધીમાં દેશમાં પહેલાથી જ 40-46 ટકા વરસાદની અછત નોંધાઈ ચૂકી છે. અલ-નીનોના કારણે ભેજવાળા પવનો નબળા પડી રહ્યા છે, જેના લીધે મધ્ય ભારત, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં તાપમાન અત્યારથી જ 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ગરમ હવા વધુ ભેજ શોષી લે છે, જેના કારણે જ્યાં વરસાદ પડે છે, ત્યાં ભારે વરસાદ થાય છે, પરંતુ મોટાભાગના વિસ્તારો સૂકા અને ગરમીની ઝપેટમાં આવી જાય છે. WMOના વડા સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું છે કે, 'સરકારોએ દુષ્કાળ, ભારે વરસાદ અને લૂ (હીટવેવ) માટે તૈયાર રહેવું જોઈએ.'

કૃષિ અને અર્થતંત્ર પર અસર

ભારતમાં ઓછો વરસાદ થવાને કારણે ખરીફ પાક(ડાંગર, મકાઈ, સોયાબીન વગેરે)ને ભારે નુકસાન થઈ શકે છે. જળાશયોનું જળસ્તર ઘટશે, વીજ ઉત્પાદન ઓછું થશે અને ગ્રામીણ અર્થતંત્ર પર બોજ વધશે. આ અગાઉ 1972, 2009 અને 2015 જેવા અલ-નીનો વર્ષોમાં ભારતને મોટું આર્થિક નુકસાન થયું હતું. સરકારને દુષ્કાળ સામેની તૈયારી, જળ વ્યવસ્થાપન અને પાક વીમા પર તાત્કાલિક કામ કરવાની સલાહ આપવામાં આવી છે. વર્ષ 2026નો અલ-નીનો ભારત માટે એક મોટી પરીક્ષા સાબિત થઈ શકે છે.