- દિલ્હીથી માત્ર 30 કિમી દૂર ફરિદાબાદમાં વિસ્ફોટકોનું ગોદામ ઝડપાયું
- રાજધાની દિલ્હીમાં મોટા વિસ્ફોટની તૈયારી હોવાની શંકા, એકે-૪૭ અને ૫૮ સહિતના હથિયારો પણ મળી આવ્યા
- જપ્ત કરાયેલી વિસ્ફોટક સામગ્રીઓમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફરનો સમાવેશ
શ્રીનગર: જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હરિયાણા સુધી ફેલાયેલા વ્હાઇટ કોલર આતંકી મોડયૂલનો પર્દાફાશ કરાયો છે. ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી સાથે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હાઇપ્રોફાઇલ ટેરર મેડયૂલમાં કોઇ આમ નાગરિક નહીં પણ કેટલાક ડોક્ટરો પણ સામેલ છે. જે આઠ આરોપીઓ ઝડપાયા છે તેમાં ત્રણ ડોક્ટરો છે, એક મહિલા ડોક્ટરની કારમાંથી એકે-૪૭ રાઇફલ પણ મળી આવી છે.
હરિયાણાના ફરિદાબાદના ફતેહપુર ગામમાંથી બોમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાનારી તમામ સામગ્રી મળી આવી હતી. ફરિદાબાદ દિલ્હીથી માત્ર ૩૦ કિમી જ દૂર આવેલુ છે. આ જ ગામમાંથી અગાઉ ૩૬૦ કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી જે બાદ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે તપાસ અભિયાન ચલાવાયું હતું. આ મકાન જમ્મુ કાશ્મીરના પુલવામાના રહેવાસી ફિઝિશિયન ડોક્ટર મુઝમ્મીલ શકીલનું હોવાનું સામે આવ્યું છે. ફરિદાબાદના એસીપી (ક્રાઇમ) વરુણ ડાહિયાએ કહ્યું હતું કે ડોક્ટર શકીલે આ મકાન ભાડે રાખ્યું હતું. જ્યારે બીજા ઘરમાંથી જે વિસ્ફોટક સામગ્રી મળી આવી છે તેને પણ ભાડે રાખવામાં આવ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં એક મહિલા ડોક્ટરના નામે રજિસ્ટર્ડ કારમાંથી એક એકે-૪૭ રાઇફલ, ત્રણ કારતુસ, એક પિસ્તોલ મળી આવ્યા છે. હાલ પોલીસે આ મહિલા ડોક્ટરની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઓપરેશનને જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ જૈશ-એ-મોહમ્મદ, આઇએસના સંગઠન ગઝવા-ઉલ-હિન્દ સંગઠનના આતંકી મોડયુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે તેમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલફરનો સમાવેશ થાય છે. જેમાંથી ૩૬૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ અને કેટલાક હથિયારો પણ ફરિદાબાદમાંથી જ મળી આવ્યા હતા આ માહિતી જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા જારી નિવેદનમાં અપાઇ છે.
આ વિસ્ફોટક સામગ્રીની સાથે જે હથિયારો મળી આવ્યા છે તેમાં એક એકે-૫૬ રાઇફલ, ચાઇનીઝ સ્ટાર પિસ્તોલ, એકે રાઇફલ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક સર્કિટ, બેટરી, વાયર, રિમોટ કન્ટ્રોલ, ટાઇમર્સ, મેટલ શીટ્સનો પણ સમાવેશ થાય છે. આ તમામ સામગ્રી મળી આવતા સ્પષ્ટ થાય છે કે આતંકીઓ કોઇ મોટા હુમલાની તૈયારીમાં હતા, જે સ્થળેથી આ વિસ્ફોટક સામગ્રીઓ અને હથિયારો મળી આવ્યા છે તે દિલ્હીથી માત્ર ૩૦ જ કિમી દૂર છે તેથી આતંકીઓનો ટાર્ગેટ રાજધાની દિલ્હી હોઇ શકે છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજ (જીએમસી)ના પૂર્વ રેસિડેન્ટ ડોક્ટર આદીલ અહેમદના પર્સનલ લોકરમાંથી એક એકે-૪૭ રાઇફલ મળી આવી હતી જ્યાંથી આ સમગ્ર મોડયુલના પર્દાફાશ થયો હતો. જે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી સાત કાશ્મીરના રહેવાસી છે જેમના નામ આરીફ નિસાર, યાસીર ઉલ અશરફ, મકસૂદ અહમદ, મૌલવી ઇરફાન અહમદ, ઝમીર અહેમદ, ડો. મુજમ્મીલ અહેમદ શકીલ, ડોક્ટર આદીલ, ડોક્ટર શાહીનનો સમાવેશ થાય છે.


