મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતના 8 જહાજો હોર્મુઝમાંથી પસાર થયા, 17 હજુ લાઈનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓઈલ વેપારમાં જહાજોનું અધવચ્ચે માર્ગ બદલવો સામાન્ય પ્રક્રિયા : કેન્દ્ર
એલપીજી સંકટ વચ્ચે ઘરે-ઘરે ઈન્ડક્શન સાધનોનું ઉત્પાદન અને સપ્લાય ચેઈન વધારવાની કેન્દ્રની યોજના
ગુજરાતનું અમારા ઈતિહાસમાં વિશેષ સ્થાન, સદીઓ પહેલાં અમારા લોકોનું સ્વાગત કર્યું હતું : ઈરાનનું વાણિજ્ય દૂતાવાસ
ઈરાનની આ નાકાબંધી વચ્ચે પણ ક્રૂડ ઓઈલ અને એલપીજી સાથે ભારતના કુલ આઠ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ ગયા છે અને હજુ 17 જહાજો પસાર થવા માટે લાઈનમાં ઊભા છે. જહાજ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજવાળા જહાજ ગ્રીન સાન્વીએ 44000 મેટ્રિક ટન એલપીજી સાથે શુક્રવારે સાંજે ઈરાનના સમુદ્રી વિસ્તારમાંથી કોરિડોર મારફત હોર્મુઝની ખાડી પાર કરી હતી. આ જહાજ હવે મુંબઈ પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે. હવે ગ્રીન આશા અને જગ વિક્રમ સહિત 17 ભારતીય જહાજ હોર્મુઝની ખાડી પાર કરવા માટે ઈરાનની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ઈરાને યુદ્ધ શરૂ થવાના સમયથી સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને તેના સાથી દેશોના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર નહીં થવા દઈએ, પરંતુ ભારત સહિત ઈરાનના મિત્ર દેશો માટે હોર્મુઝની ખાડી ખુલ્લી છે.
મુંબઈ ખાતેના ઈરાનના વાણિજ્ય દૂતાવાસે શનિવારે કહ્યું કે, હોર્મુઝની ખાડી પર નાકાબંધી હોવા છતાં ભારત અને વિશેષરૂપે ગુજરાતનું અમારા સંયુક્ત ઈતિહાસમાં વિશેષ સ્થાન છે, કારણ કે સદીઓ પહેલાં તેમણે અમારી ધરતી પરથી આવેલા લોકોનું આદર-સત્કાર સાથે સ્વાગત કર્યું હતું. સભ્યતાના આ સુદૃઢ બંધનને આધાર બનાવતા અમે મિત્રતા અને સહયોગના સંબંધોને વધુ મજબૂત કરવા સંપૂર્ણપણે કટીબદ્ધ છીએ.દરમિયાન દેશમાં એલપીજી સંકટ વચ્ચે સરકારે હવે ઘરે ઘરે રસોડામાં ઈન્ડક્શન હીટરના ઘરેલુ ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. સરકારી સૂત્રો મુજબ ડીપીઆઈઆઈટીએ ઉચ્ચ સ્તરીય આંતર મંત્રાલયી બેઠકમાં ઈન્ડક્શન હીટર અને તેના સંબંધિત કૂકવેરના ઉત્પાદન વધારવા તેની સપ્લાય ચેઈન મજબૂત કરવાની રણનીતિ તૈયાર કરવાની યોજના પર ચર્ચા કરાઈ હતી. સરકાર ઈન્ડક્શન આધારિત સાધનો અને તેની સાથે સંકળાયેલા વાસણોનું ઉત્પાદન વધારી એલપીજીનો બોજ ઘટાડવા માગે છે.
ઈરાનનું એક ઓઈલ ટેન્કર પિંગ શુન ગુજરાતના વાડીનાર બંદરે પહોંચવાના બદલે ચીનના ડોંગયિંગ તરફ રવાના થયું હોવાના અહેવાલો મુદ્દે કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું, ક્રૂડ ઓઈલના કારોબારમાં જહાજોનું રસ્તો બદલવું એ સામાન્ય પ્રક્રિયા છે. અનેક વખત સમુદ્રમાં જ વ્યાપારિક અને સંચાલન સંબંધી કારણોથી જહાજોનું ગંતવ્ય સ્થળ બદલાઈ જાય છે. ભારતે આગામી મહિનાઓ સુધી ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત જથ્થો એકત્ર કરી લીધો છે. દેશમાં પેટ્રોલ અનેડીઝલના પુરવઠા પર કોઈ અસર નહીં પડે.









