ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સિસીને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
Updated: Jan 25th, 2023
- ઈજિપ્તના રાષ્ટ્રપતિ આ વર્ષના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે
- ઇજિપ્તે ભારત પાસેથી અનેક સંરક્ષણ ઉપકરણો અને યુદ્ધ વિમાનો ખરીદવામાં રસ દાખવ્યો છે
નવી દિલ્હી,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઈજિપ્તના રાષ્ટ્રપતિ આ વર્ષના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. આજે રાષ્ટ્રપતિ અલ સિસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વની વાતચીત થવાની છે, જેમાં વેપાર, સંરક્ષણ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. પીએમ મોદી સાથે મુલાકાત પહેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીએ પણ રાજઘાટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી હૈદરાબાદ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં ટ્રેડિંગને લઇને વાતચીત થઇ શકે છે. આ ઉપરાંત રક્ષા સહયોગ વધારવાની વાત પણ થઇ શકે છે. ઇજિપ્તે ભારત પાસેથી અનેક સંરક્ષણ ઉપકરણો અને યુદ્ધ વિમાનો ખરીદવામાં રસ દાખવ્યો છે. યુદ્ધ વિમાનોના એન્જિનને સાથે મળીને બનાવવા માટે બંને દેશો વચ્ચે સહયોગ પર પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે અડધો ડઝન કરાર થવાની સંભાવના છે.