For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત અને ઇજિપ્ત વચ્ચે થઈ સહમતિ, સ્વેજ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતીય ઉદ્યોગોને મળશે વિશેષ જગ્યા

Updated: Jan 27th, 2023

Article Content Image

- દરરોજ લગભગ ૧૨ ટકા વૈશ્વિક વેપાર આ નહેરમાંથી પસાર થાય છે

- વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંનો એક છે

નવી દિલ્હી,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર

ભારત અને ઇજિપ્તે બિનજોડાણવાદી આંદોલન, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદરનાં મૂલ્યો સ્થાપિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા બતાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સિસી વચ્ચેની વાતચીત દરમિયાન આ અંગે સહમતિ બતાવી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સામાન્ય હિતોને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે ઇજિપ્તની સરકાર સ્વેજ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતીય ઉદ્યોગો માટે વિશેષ વિસ્તાર ફાળવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. આ માટે ભારત સરકાર માસ્ટર પ્લાન સૂચવી શકે છે. ભૂમધ્ય સાગરને લાલ સમુદ્ર સાથે જોડે છે,  તે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંનો એક છે. દરરોજ લગભગ ૧૨ ટકા વૈશ્વિક વેપાર આ નહેરમાંથી પસાર થાય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇજિપ્તમાં ઉપલબ્ધ રોકાણની તકોનો ઉપયોગ કરવા માટે, ભારત વિદેશી રોકાણો સ્થાપિત કરવા માટે સક્ષમ તેની કંપનીઓને પ્રોત્સાહિત કરશે. નિવેદનમાં જણાવ્યું છે કે, ઇજિપ્તની સરકાર સુએઝ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતીય ઉદ્યોગો માટે ખાસ વિસ્તાર ફાળવવાની શક્યતા પર વિચાર કરી રહી છે, અને ભારતીય પક્ષ માસ્ટર પ્લાનની વ્યવસ્થા કરી શકે છે.

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં અલ-સિસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબેદ ફત્તહ અલ-સિસી મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ અલ-સિસીએ રાજકીય અને સુરક્ષા સહયોગ, આર્થિક સંબંધ, મજબૂત વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સહયોગ તેમજ વ્યાપક સાંસ્કૃતિક અને લોકોથી લોકોના સંપર્ક પર આધારિત દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે જ બંને દેશોએ બહુપક્ષીયવાદ, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનાં સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાયદા, બિનજોડાણવાદી આંદોલનનાં મૂલ્યો સ્થાપિત કરવા અને તમામ દેશોની સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

જો કે આ નિવેદનમાં કોઇ દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ ચીનની આક્રમક સૈન્ય શક્તિ અને રશિયા-યુક્રેન યુદ્ધથી વધતી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સંદર્ભ આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષો સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્તરે નિયમિત પરામર્શ અને સમન્વય દ્વારા આ મૂળભૂત સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા અને તેની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવા સહમત થયા હતા.  

Gujarat