બિહારમાં 2 કરોડ મતદારોને વોટર લિસ્ટમાંથી કાઢી નાખવાની તૈયારી? 11 વિપક્ષી દળો ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Bihar Assembly Election 2025: બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો બુધવારે 11 વિપક્ષી દળોએ સખત વિરોધ કર્યો હતો. આ દળોએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આરોપ લગાવ્યો કે, આ પ્રક્રિયા વંચિત વર્ગોને નિશાન બનાવી રહી છે અને તેના કારણે લાખો વાસ્તવિક મતદારોના નામ વોટર લિસ્ટમાંથી દૂર થઈ શકે છે. કોંગ્રેસ, RJD, ભાકપા, માકપા, માકપા(માલે)-લિબરેશન, સપા અને NCP (શરદ પવાર જૂથ) સહિત I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી અને એક સંયુક્ત મેમોરેન્ડમ સુપરત કર્યું.
વિપક્ષી દળો ભડક્યાં
વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે, આ પ્રક્રિયાથી બિહારના હાંસિયા પર ઊભેલા લાખો લોકોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવી શકે છે. મતદારો પાસે ખુદના અને તેમના માતા-પિતાના જન્મ પ્રમાણપત્રો રજૂ કરવાનું કહેવું એ માત્ર જટિલ અને અન્યાયી જ નથી પણ 8.1 કરોડ મતદારો પર વધુ પડતો બોજ છે.
આ તો વોટબંધી છે
ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે, જે 2003ના વોટર લિસ્ટમાં નોંધાયેલા લોકોને જ મતદાર ગણવામાં આવશે, જ્યારે બાકીના લોકોએ ફરીથી નોંધણી માટે દસ્તાવેજો આપવા પડશે. વિપક્ષનું કહેવું છે કે, આ એક અસ્પષ્ટ અને કાયદેસર રીતે પાયાવિહોણું વર્ગીકરણ છે, જે લાખો લોકોને કોઈપણ માન્ય કારણ વિના મતદાનના અધિકારોથી વંચિત કરી શકે છે. માકપા(માલે)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે, જે લોકો 2003ના વોટર લિસ્ટમાં નથી, તેમણે નાગરિકતા સાબિત કરવી પડશે. આ તો સીધી 'વોટબંધી' છે.
સિંઘવીએ ચૂંટણી પંચને કર્યો સવાલ
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ચેતવણી આપી છે કે, આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે કરોડ મતદારોને બહાર કરવામાં આવી શકે છે. ખાસ કરીને દલિત, આદિવાસી, પ્રવાસી મજૂર અને ગરીબ વર્ગના લોકોને. જો કોઈનું નામ કાઢી નાખવામાં આવે છે, તો ચૂંટણીની જાહેરાત થયા પછી તેને કોર્ટમાં પડકારવાનું પણ શક્ય નહીં બનશેહીં, કારણ કે તે સમય દરમિયાન કોર્ટ ચૂંટણી સંબંધિત કેસોની સુનાવણી ટાળે છે.
સિંઘવીએ ચૂંટણી પંચને એ સવાલ પણ કર્યો છે કે, 2003થી લઈને અત્યાર સુધી યોજાયેલી અનેક ચૂંટણીઓમાં કોઈ મોટી ગેરરીતિ નથી નોંધાઈ, તો પછી હવે અચાનક ખાસ સુધારાની જરૂર કેમ અનુભવાઈ? 22 વર્ષમાં 4-5 ચૂંટણીઓ યોજાઈ હતી, શું તે બધી ખોટી હતી?








