Easter 2022: જાણો ઈસ્ટર સન્ડેની ઉજવણી પાછળનું કારણ અને ભેટમાં ઈંડા આપવાની પરંપરા વિશે
- ઈસાઈ ધર્મના લોકો ઈસ્ટર પર ઈંડા સજાવીને એકબીજાને ભેટમાં આપે છે
અમદાવાદ, તા. 17 એપ્રિલ 2022, રવિવાર
ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો ઈસા મસીહના પુનર્જન્મની ખુશીમાં આ તહેવારની ઉજવણી કરે છે. એવી માન્યતા છે કે, પ્રભુ યીશુ ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે પુનર્જીવિત થયા હતા. આ ઘટનાને ઈસ્ટર સન્ડે તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસમસ બાદ ઈસ્ટર એ ઈસાઈ સમુદાયનો સૌથી મોટો પર્વ છે. આ બંને તહેવાર ઈસા મસીહના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વખતે આજે એટલે કે, 17 એપ્રિલના રોજ ઈસ્ટરની ઉજવણી થઈ રહી છે.
40 દિવસ સુધી ઈસ્ટરની ઉજવણી
બાઈબલ પ્રમાણે હજારો વર્ષ પહેલા ગુડ ફ્રાઈડેના દિવસે ઈસાહ મસીહને જેરૂસલેમની પહાડીઓ પર શૂળી પર ચઢાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે એટલે કે, પહેલા રવિવારે ઈસાહ મસીહા ફરી જીવિત થયા હતા. પુનર્જન્મ બાદ ઈસા મસીહ આશરે 40 દિવસ સુધી પોતાના શિષ્યો સાથે રહ્યા હતા. ત્યાર બાદ તેઓ હંમેશા માટે સ્વર્ગમાં જતા રહ્યા હતા. આ કારણે ઈસ્ટરની ઉજવણી પુરા 40 દિવસ સુધી કરવામાં આવે છે. જોકે સત્તાવાર રીતે ઈસ્ટર પર્વ 50 દિવસો સુધી ચાલે છે. ઈસાઈ ધર્મના લોકો આ પર્વને ખૂબ જ ધામ-ધૂમ અને ઉત્સાહથી ઉજવે છે.
આ રીતે થાય છે ઈસ્ટરની ઉજવણી
ઈસ્ટરના પહેલા સપ્તાહને ઈસ્ટર સપ્તાહ કહેવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો આ દરમિયાન પ્રાર્થના અને વ્રત કરે છે. ઈસ્ટર પર્વ દરમિયાન તમામ ચર્ચને ખાસ રીતે શણગારવામાં આવે છે. આ દિવસે ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. ઈસાઈ ધર્મના અનેક અનુયાયીઓ આ દિવસે પોતાના ઘરોને પણ મીણબત્તીઓ વડે સજાવે છે. ઈસ્ટર ડેના રોજ બાઈબલનું વિશેષરૂપે પઠન કરવામાં આવે છે.
ઈંડા ભેટમાં આપવાનું કારણ
ઈસ્ટર પર ઈંડાનું ખાસ મહત્વ રહેલું છે. ઈસાઈ ધર્મના લોકો ઈસ્ટર પર ઈંડા સજાવીને એકબીજાને ભેટમાં આપે છે. તેમની માન્યતા પ્રમાણે ઈંડા સારા દિવસોની શરૂઆત અને નવા જીવનનો સંદેશો આપે છે. હકીકતે ઈસાઈ ધર્મના લોકોનું એવું માનવું છે કે જે રીતે ઈંડામાં એક નવા જીવનું સર્જન થાય છે તે લોકોને નવી શરૂઆતનો મેસેજ પાઠવે છે.