India

ભારતના 61% વિસ્તાર પર ભૂકંપનો ખતરો, હિમાલયન રેન્જ સૌથી જોખમી, વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો

By GS TEAM
29 Nov 20252 mins read
ભારતના 61% વિસ્તાર પર ભૂકંપનો ખતરો, હિમાલયન રેન્જ સૌથી જોખમી, વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો

Earthquack News : હિમાલયન રેન્જના રાજ્યોમાં ભૂકંપનો સૌથી વધુ ખતરો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરૂણાચલ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. હિમાલયના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટમાં હિલચાલ થઈ રહી હોવાથી આ વિસ્તારોને વધારે સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભૂકંપનો ખતરો દેશના અન્ય ભાગ કરતાં ઓછો છે. ભૂકંપ વૈજ્ઞાનિકોએ નવો સિસ્મિક મેપ જાહેર કર્યો છે.

ભૂકંપ વૈજ્ઞાનિકોના નવા અહેવાલ પ્રમાણે દેશના 61 ટકા વિસ્તારમાં ભૂકંપની શક્યતા છે. અગાઉ આ વિસ્તાર 59 ટકા હતો. ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે ઉત્તર તરફ પાંચ સેન્ટિમીટર ખસતી હોવાથી પેટાળમાં હિલચાલ વધી છે. પરિણામે ભૂકંપનો ખતરો પણ વધ્યો છે. હિમાલયન રેન્જમાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. દેશના બધા જ ભાગોને નવા સિસ્મિક મેપમાં પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એ પ્રમાણે સમગ્ર હિમાલયન રેન્જને હવે પાંચમાં ઝોનમાં રાખવામાં રાખીને ચેતવણી આપવામાં આવી હતી. એ પહેલાં હિમાલયના જુદા જુદા વિસ્તારોને ચાર અને પાંચ એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા.

હિમાલયન રેન્જ પછી સૌથી વધુ ખતરો છે કચ્છમાં. સમગ્ર કચ્છને પાંચમા ઝોનમાં રાખવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના હિસ્સામાં સૌરાષ્ટ્રને ત્રીજા ઝોનમાં રાખ્યું છે, તેનો અર્થ એ કે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો ખતરો પ્રમાણમાં ઓછો છે. કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારને ચોથા ઝોનમાં રાખવામાં આવ્યા છે.

દેશની ત્રણ ચતુર્થાંશ વિસ્તાર સક્રિય ભૂકંપ ક્ષેત્રમાં આવે છે એટલે મોટી વસતિ પર ભૂકંપનું જોખમ સતત મંડરાતું રહેશે. વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જ્યોલોજીના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ નવા મેપના કારણે દેશમાં અમુક પરિવર્તનો કરવા પડશે. ખાસ તો જૂની ઈમારતોનું ચેકિંગ કરવું જોઈએ. નવી ઈમારતોના બાંધકામમાં પણ માપદંડો બદલવા હિતાવહ છે. નદી કિનારે કે પોચી જમીનમાં બહુમાળી ઈમારતો ન બાંધવી જોઈએ. જૂની સ્કૂલ-કોલેજો અને હોસ્પિટલોને મજબૂત કરવાની દિશામાં કામ કરવું જોઈએ.