દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા, અઠવાડિયામાં બીજી વખત ધ્રૂજી ધરતી
ભૂકંપ બાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડવા લાગ્યા
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
નવી દિલ્હી, 12 નવેમ્બર 2022, શનિવાર
દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે ઉત્તરાખંડમાં આજે બે વાર ધરતી ધ્રૂજી હતી. એક અઠવાડિયા પહેલા પણ દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી
દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં આજે ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપના આ આંચકા રાત્રે 7.57 કલાકે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તરાખંડમાં પણ ભૂકંપ
દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા, ગાઝિયાબાદ, અમરોહા તેમજ યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે ઉત્તરાખંડના ટિહરી, પિથોરાગઢ, બાગેશનર, પૌરી અને ખતિમામાં ભૂકંપ આવ્યો.
6 નવેમ્બરે પણ ભુકંપ આવ્યો હતો
આ પહેલા 6 નવેમ્બરે બપોરે 1.57 કલાકે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જ હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી.