Get The App

દહેજનો કાયદો વેર વાળવા માટે નથી, દુરૂપયોગ રોકે : સુપ્રીમ

Updated: Dec 11th, 2024

GS TEAM


Google News
Google News
દહેજનો કાયદો વેર વાળવા માટે નથી, દુરૂપયોગ રોકે : સુપ્રીમ 1 - image


- દહેજ ઉત્પિડનનો કાયદો મહિલાઓના રક્ષણ માટે, લગ્ન સંબંધોમાં વિખવાદો વચ્ચે કાયદાનો દુરુપયોગ ચિંતાજનક

- દેશમાં લગ્ન સંબંધોમાં વિખવાદો વધી રહ્યા છે તેની સાથે કાયદાનો દુરુપયોગ વધવો ચિંતાજનક, પરિવારના નિર્દોષ લોકોને મુશ્કેલીથી બચાવવા જરૂરી

- પત્ની દ્વારા પતિ અને તેના પરિવાર સામે દાખલ ફરિયાદને પાયા વિહોણી ગણાવી સુપ્રીમ કોર્ટે રદ કરી

નવી દિલ્હી : દહેજ ઉત્પિડન રોકવા માટે બનાવાયેલા કાયદાના વધી રહેલા દુરુપયોગ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. મંગળવારે પતિ અને તેના પરિવાર સામે પત્ની દ્વારા દાખલ ફરિયાદ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે દેશની તમામ કોર્ટોને આવા કેસોની સુનાવણી વખતે વધુ સતર્ક રહેવા કહ્યું હતું. સુપ્રીમે નોંધ્યું હતું કે લગ્ન સંબંધોમાં વિવાદો વધી રહ્યા છે. જે સાથે જ દહેજ ઉત્પિડન રોકવા માટેના કાયદાનો દુરુપયોગ પણ વધ્યો છે. કોર્ટો કાયદાનો દુરુપયોગ થતો રોકવા સતર્ક રહે અને કોઇ નિર્દોષ પરિવાર મુશ્કેલીમાં ના મુકાય તેનું ધ્યાન રાખે. આ કાયદો પતિ કે તેના પરિવાર સામે વેર વાળવા માટે નથી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ એન કોટિશ્વરસિંહની બેંચે મામલાની સુનાવણી વખતે કહ્યું હતું કે લગ્ન વિખવાદોને કારણે સામે આવતા ગુનાહિત મામલાઓમાં પરિવારના સભ્યોના નામનો માત્ર ઉલ્લેખ પણ જોવા મળે છે જ્યારે તેમની સામે કોઇ ચોક્કસ આરોપો પણ નથી હોતા. શરૂઆતમાં જ આવા લોકોને મુશ્કેલીમાં મુકાતા રોકવા જોઇએ. એવા મામલા પણ સામે આવી રહ્યા છે જેમાં પતિ અને તેના પરિવારને માત્ર ફસાવવાનો જ ઇરાદો હોય છે. વિશિષ્ટ આરોપો અને મજબૂત પુરાવા વગર માત્ર નામ દર્શાવી દેવા ગુનાહિત કેસો ચલાવવાનો આધાર ના બની શકે. કોર્ટોએ નિર્દોષ લોકોને બચાવવા માટે વધુ સતર્ક રહીને મામલાની સુનાવણી કરવી જોઇએ. 

તેલંગાણામાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાના અન્ય લોકોની સામે દહેજ ઉત્પિડનની કલમ ૪૯૮એ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી, આ ફરિયાદને રદ કરવાની માગ સાથે પતિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. જે બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને રદ કરી દીધો હતો જે દરમિયાન આ ટકોર કરી હતી. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે એવા મામલા સામે આવ્યા છે જેમાં ક્યારેક પત્નીની ગેરવ્યાજબી માગણીઓ પુરી કરાવવા માટે પતિ અને તેના પરિવારના લોકોની સામે આઇપીસીની કલમ ૪૯૮એ (દહેજ ઉત્પિડન)નો ઉપયોગ કરાય છે. 

સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાએ ચુકાદામાં કહ્યું હતું કે દહેજ ઉત્પિડન કે અન્ય ક્રૂરતાનો સામનો કરી રહેલી મહિલાઓએ ચુપ રહેવુ જોઇએ એવુ અમે નથી કહી રહ્યા, દહેજ ઉત્પિડનથી મહિલાઓનું રક્ષણ કરવા માટે જ આ કાયદો ઘડવામાં આવ્યો છે. પરંતુ ક્યારેક ક્યારેક આ કાયદાનો દુરુપયોગ પણ થાય છે, વર્તમાન કેસમાં પણ આ કાયદાનો દુરુપયોગ થયો હોવાનું જ સ્પષ્ટ થાય છે. હાલમાં દેશભરમાં વૈવાહિક વિવાદોમાં વધારો થયો છે. સાથે જ લગ્ન સંસ્થાની અંદર પણ તનાવ અને કલેશ વધી રહ્યા છે. જેના પરિણામસ્વરુપ આઇપીસીની કલમ ૪૯૮એ (પતિ કે તેના પરિવાર દ્વારા પત્ની પર ક્રૂરતા) જેવી જોગવાઇઓનો દુરુપયોગ પતિ અને તેના પરિવાર સામે વ્યક્તિગત વેર વાળવા માટે પણ થાય છે. આ કેસમાં સ્પષ્ટ થાય છે કે પત્ની દ્વારા લગાવાયેલા આરોપો અસ્પષ્ટ છે, આરોપો તો લગાવાયા પરંતુ કોઇ જ સાક્ષી રજુ નથી કરાયો. સુપ્રીમ કોર્ટે આ સાથે જ પતિ અને તેના પરિવાર સામે પત્ની દ્વારા કરાયેલી દહેજ ઉત્પિડનની ફરિયાદને રદ કરી દીધી હતી.

દેશમાં હજુ પણ દહેજનું દુષણ, દરરોજ 18 મહિલાનો ભોગ

નવી દિલ્હી : દહેજ ઉત્પિડનના કાયદાનો દુરુપયોગ વધ્યો છે તો તેની સામે દહેજને કારણે મહિલાઓના મોતનું પ્રમાણ પણ એટલુ જ સામે આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા જણાવે છે કે દર વર્ષે દહેજને લઇને હજારો મહિલાઓ મોતને ભેટે છે. 

દહેજ હત્યાના અનેક મામલા દાખલ થાય છે. વર્ષ ૨૦૨૨માં દહેજ હત્યાના ૬૪૫૦ કેસો દાખલ થયા હતા, જે હિસાબે દરરોજ સરેરાશ ૧૮ મહિલાઓ દહેજને કારણે મોતને ભેટી રહી છે. દહેજ ઉત્પિડનની કલમ ૪૯૮એ જેને નવા કાયદા બીએનએસમાં કલમ ૮૫ સાથે જોડવામાં આવી છે તેના દ્વારા પત્ની પર પતિ અથવા તેના પરિવાર દ્વારા થતા માનસિક અને શારિરીક અત્યાચારોને રોકવા માટે છે. બીજી તરફ એનસીઆરબીની રિપોર્ટ મુજબ ૪૯૮એમાં કન્વિક્શન રેટ માત્ર ૧૮ ટકા છે.

Tags :