Yuzvendra Chahal: ભારતના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની પ્રસનલ લાઈફમાં ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધનશ્રી વર્મા સાથે તેના લગ્ન બહુ ચાલ્યા નહી. બંનેએ છુટાછેડા લઈ લીધા છે. આ બંને લોકો એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. આ દરમિયાન ભરણપોષણ સંબંધિત એક કેસમાં દિલ્હી હાઇકોર્ટે એક એવી ટિપ્પણી કરી જેમાં યુઝવેન્દ્ર ચહલને વિશ્વાસ ન આવ્યો. તેમણે સમાચારનો સ્ક્રીનશોટ લીધો અને તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બનાવીને કેપ્શનમાં લખ્યું કે, 'ખાઓ માતાના સોગંદ કે, હવે ફરી નહીં જાઓ.' જોકે, પાછળથી તેણે સ્ટોરી ડિલીટ કરી દીધી હતી.
યુઝવેન્દ્ર ચહલે આવું કેમ કર્યું? શું તેમનું અંગત દુઃખ વ્યક્ત થયું? કે શું તેમને એવું નહોતું લાગતું કે, કોર્ટ આવો આદેશ કે આ પ્રકારે ભરણપોષણ પર ટિપ્પણી કરી શકે છે? ચહલે તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્માને ભરણપોષણ માટે મોટી રકમ ચૂકવવી પડી હતી. બની શકત કે કોર્ટનો નિર્ણય વાંચીને પણ આવું જ દુઃખ થયું હોય. કારણ ગમે તે હોય ખાતરીપૂર્વક કહેવું અશક્ય છે, પરંતુ એ ચોક્કસ છે કે હાઇકોર્ટની ટિપ્પણીએ સ્ટાર ક્રિકેટરનું ધ્યાન ખેંચ્યું છે.
હાઈકોર્ટની ટિપ્પણી
હકીકતમાં આ અઠવાડિયે, દિલ્હી હાઈકોર્ટે ભરણપોષણ અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. છૂટાછેડા અને ભરણપોષણ સંબંધિત કેસમાં 37 પાનાના ચુકાદામાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે આર્થિક રીતે સ્વતંત્ર જીવનસાથી ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. આર્થિક રીતે આત્મ નિર્ભર અને સ્વતંત્ર પત્ની તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકતી નથી.
આ કેસમાં મહિલા રેલ્વે ટ્રાફિક સર્વિસમાં ગ્રુપ A અધિકારી છે. એક ફેમિલી કોર્ટે તેના વકીલ પતિ દ્વારા દાખલ કરાયેલી અરજીના આધારે ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા. મહિલાએ હાઈકોર્ટમાં ભરણપોષણની માંગણી કરતા તે નિર્ણયને પડકાર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો.
યુઝવેન્દ્ર ચહલના ધનશ્રી સાથેના લગ્ન નિષ્ફળ
યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020 માં ધનશ્રી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના સંબંધોમાં બહુ ચાલ્યા નહીં અને તેઓ જૂન 2022 માં અલગ રહેવા લાગ્યા. એ પછી છૂટાછેડા, ભરણપોષણને લઈને બંને વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. તે બાદ આખરે 20 માર્ચ, 2025 ના રોજ, બોમ્બે હાઈકોર્ટે તેમના છૂટાછેડા પર મહોર લગાવી હતી. ચહલે ધનશ્રી વર્માને ભરણપોષણ તરીકે 4.75 કરોડ રુપિયા ચૂકવવા પડ્યા હતા.


