'કુંભમાં નાસભાગ થતાં કોઈએ રાજીનામું આપ્યું હતું?' ભાજપના આરોપો પર કર્ણાટક CMના વળતાં પ્રહાર
Bangaluru Stampede News : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ એક 'દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના' હતી જે ન થવી જોઈતી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. મુખ્યમંત્રીએ કહ્યું, 'આ ઘટના ન થવી જોઈતી હતી. તે ક્રિકેટ સ્ટેડિયમમાં બની હતી અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.'
આ નાસભાગ 4 જૂનના રોજ સાંજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થઈ હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની IPL જીતની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અરાજકતાને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિપક્ષે આ ઘટના પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે.
'મારા મુખ્યમંત્રી બન્યા પછી આ પહેલી ઘટના છે'
આ અંગે પ્રતિક્રિયા આપતાં સિદ્ધારમૈયાએ કહ્યું, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મેં મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારથી આવી ઘટના પહેલાં ક્યારેય બની નથી. શરુઆતમાં એવું લાગે છે કે અધિકારીઓની ભૂલને કારણે આવું થયું છે, તેથી અમે કાર્યવાહી કરી છે. આ અકસ્માતથી બધા દુઃખી છે.’
‘ભાજપ આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યો છે’
તેમણે વિપક્ષના આરોપો પર વળતો પ્રહાર કરતાં કહ્યું, ‘મારી શું ભૂલ છે ? ભાજપ આને રાજકીય રંગ આપી રહ્યો છે. તેમણે મારા પર ખોટા આરોપ લગાવ્યા છે. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો કે મેં પોલીસને ધમકી આપી હતી, આ 100% જુઠ્ઠાણું છે. અચાનક તેઓ પોલીસના પ્રેમમાં પડી ગયા છે. અમે બેદરકારીના આરોપ લગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ભાજપ અને જેડીયુએ ન્યાયિક તપાસની માંગ કરી હતી, અમે તપાસ પંચની રચના કરી છે. તો પછી સરકારે શું ભૂલ કરી?’
'શું કુંભ મેળામાં નાસભાગ પછી કોઈએ રાજીનામું આપ્યું?'
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું, 'જ્યારે સરકારે કોઈ ભૂલ કરી નથી ત્યારે આપણે શા માટે શરમ અનુભવવી જોઈએ? જો આ માપદંડ છે, તો શું કુંભ મેળામાં નાસભાગ પછી કોઈએ રાજીનામું આપ્યું? એક નવો ફ્લાયઓવર તેના ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો અને સેંકડો લોકો મૃત્યુ પામ્યા, શું વડાપ્રધાને રાજીનામું આપ્યું? શું કોઈએ પ્રશ્નો ઉઠાવ્યા? કુંભ મેળામાં 50-60 લોકો મૃત્યુ પામ્યા, શું મંત્રીને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું? શું ભાજપ કે કુમારસ્વામીએ ત્યારે માંગણી ઉઠાવી હતી?'