Get The App

હવે આસામમાં પણ બે પાટનગર: મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ જેવો નિયમ લાગુ

Updated: Jan 27th, 2025

GS TEAM


Google News
Google News
હવે આસામમાં પણ બે પાટનગર: મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ જેવો નિયમ લાગુ 1 - image


Assam Second Capital:  ભારતમાં તમામ રાજ્યોનું પોતાનું પાટનગર હોય છે, જ્યાંથી સમગ્ર રાજ્યનું કામકાજ થાય છે અને લોકો માટે નીતિઓ તૈયાર કરવામાં આવે છે. જોકે, કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં એક નહીં પણ બે-બે પાટનગર છે. હવે આ યાદીમાં આસામનું નામ પણ ઉમેરાશે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ એલાન કર્યું છે કે, હવે ડિબ્રુગઢને પણ આસામનું પાટનગર બનાવવામાં આવશે. હાલમાં દિસપુર આસામનું પાટનગર છે. ત્યારબાદ હવે આગામી થોડા મહિનામાં ડિબ્રુગઢને બીજુ પાટનગર તરીકે વિકસાવવામાં આવશે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે, આ પહેલા દેશના કયા રાજ્યોમાં બે પાટનગર છે.

આ રાજ્યોના બે પાટનગર છે

આસામ પહેલા દેશના ઘણા રાજ્યોએ બે પાટનગર બનાવ્યા છે, સામાન્ય રીતે રાજ્ય સરકારો આવું એટલા માટે કરે છે, કારણ કે તેમને તે વિશેષ સ્થળ અથવા જિલ્લાનો પણ વિકાસ કરવાનો હોય છે. પાટનગર બન્યા બાદ તે જગ્યાએ ઘણા પ્રકારના કામ શરૂ થાય છે અને લોકોને પણ તેનો લાભ મળે છે.

હિમાચલ પ્રદેશ 

હિમાચલ પ્રદેશના પણ બે પાટનગર છે. હિમાચલની રાજધાની શિમલા છે, પરંતુ ધર્મશાળાને શિયાળુ પાટનગર બનાવવામાં આવ્યું છે. એનો અર્થ એ કે આ પહાડી રાજ્યના પણ બે પાટનગર છે. બે પાટનગર બનાવવાનું કારણ એ હતું કે, શિયાળા દરમિયાન શિમલામાં ભારે બરફવર્ષા થાય છે, અને આવી સ્થિતિમાં રસ્તાઓ પણ બંધ થઈ જાય છે. એટલા માટે આ દરમિયાન ધર્મશાળાને પાટનગર બનાવવામાં આવે છે.

ઉત્તરાખંડ

હિમાચલ પ્રદેશની જેમ ઉત્તરાખંડ પણ એક પહાડી રાજ્ય છે, જેના બે પાટનગર છે. પહેલું પાટનગર દહેરાદૂન છે અને કામચલાઉ પાટનગર ગેરસેનને બનાવવામાં આવ્યું છે. પહાડી વિસ્તારમાં પાટનગર વિકસાવવાની લાંબી માંગ બાદ ગેરસેનને બીજા પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર 

મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે, જે માયાનગરી તરીકે ઓળખાય છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં બીજુ એક પાટનગર પણ છે જેને શિયાળુ પાટનગર બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું બીજુ પાટનગર નાગપુર છે.

લદાખ 

કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. ત્યારબાદ લદાખના બે પાટનગર બનાવવામાં આવ્યા. પહેલું પાટનગર લેહમાં અને બીજુ કારગિલમાં સ્થિત છે.

આ પણ વાંચો: ખેડામાં વર અને કન્યા પક્ષમાં DJની એવી હરીફાઈ જામી કે પોલીસ ફરિયાદ નોંધાઈ, જુઓ VIDEO

આ રાજ્યો ઉપરાંત કર્ણાટકના પણ બે પાટનગર માનવામાં આવે છે, પહેલું પાટનગર બેંગલુરુ છે અને બેલગાવી બીજુ પાટનગર તરીકે ઓળખાય છે.

Tags :