...તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP President: ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી થવાની બાકી છે. પાર્ટીએ આ માટે કોઈ કાર્યક્રમ જાહેર ન કર્યો હોવા છતાં, એવી અટકળો ચાલી રહી છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા પ્રમુખની પસંદગી થઈ શકે છે. આ પરિસ્થિતિ વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ અધ્યક્ષ પદ માટેના સંભવિત ઉમેદવાર હોવાની અટકળો પર પોતાનો જવાબ આપ્યો છે અને સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ભૂમિકા વિશે પણ વાત કરી છે.
દેવેન્દ્ર ફડણવીસ: ભાજપમાં વ્યક્તિ નહીં, પાર્ટી નિર્ણય લે છે
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે ફડણવીસને તેમની મહત્વાકાંક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'જુઓ, હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું... તમને ખબર છે કે આ પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ એ નક્કી નથી કરતો કે કોઈ મુંબઈમાં રહે, દિલ્હીમાં રહે, નાગપુરમાં રહે કે પછી ક્યાંક બીજે જતું રહે. અહીં કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી લેતો, પાર્ટી નિર્ણય કરે છે. હું આવું માનું છું.'
આ અંગે ફડણવીસે વધુમાં કહ્યું કે, 'પરંતુ મારી પાર્ટીની કાર્યપદ્ધતિને હું જેટલો જાણું છું, તેના આધારે હું કહી શકું છું કે આ પાંચ વર્ષ તો હું મહારાષ્ટ્રમાં જ છું. પણ પાંચ વર્ષ પછી પાર્ટી જે પણ નિર્ણય લે.'
જ્યારે ફડણવીસને ભાજપના અધ્યક્ષ બનવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'તમે તેને ઉકેલવાનો પ્રયાસ ન કરો, પાર્ટી ઉકેલી લેશે. યોગ્ય સમયે બધું યોગ્ય થઈ જશે. બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. કોઈ સમસ્યા છે જ નહીં, અધ્યક્ષની ચૂંટણી થઈ જશે.'
ભાજપ અધ્યક્ષની પસંદગીમાં RSSની કોઈ ભૂમિકા નથી: ફડણવીસ
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની પ્રેસ કોન્ફરન્સ અંગે પૂછવામાં આવેલા સવાલ પર ફડણવીસે કહ્યું, 'જુઓ, નામ ચાલવા જેવી બાબતો ફક્ત સમાચાર માટે હોય છે. અમે પણ ઘણા નામો સાંભળ્યા છે અને તેમાંથી ઘણા નામ એવા પણ હતા કે અમને વિશ્વાસ ન થયો કે મીડિયા આવા નામ પણ ચલાવી શકે છે... હું માનું છું કે ભાજપમાં એક કાર્યપદ્ધતિ છે અને પરમપૂજ્ય સરસંઘચાલકજીએ જે જવાબ આપ્યો, તેનો અર્થ એ છે કે આ નિર્ણય અમે નહીં, ભાજપ કરે છે. અમારી નિર્ણય પ્રણાલી અલગ છે, ભાજપની નિર્ણય પ્રણાલી અલગ છે. ભાજપ પોતાની નિર્ણય પ્રણાલી અનુસાર આ અંગે નિર્ણય લેશે... જે સમિતિ એ નક્કી કરે છે કે અધ્યક્ષ કોણ હશે, તેનો હું સભ્ય નથી.'
આ પણ વાંચો: 'કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા...' થરૂરની ભારતીય ટીમને સલાહ
ભાજપ અધ્યક્ષની પસંદગી સંઘ નથી કરતો: મોહન ભાગવત
ઓગસ્ટમાં મોહન ભાગવતને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું સંઘ ભાજપના અધ્યક્ષ નક્કી કરે છે. તેમણે આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હું 50 વર્ષથી સંઘ ચલાવી રહ્યો છું અને જો કોઈ મને આ વિશે સલાહ આપે, તો હું વિશેષજ્ઞ છું. જ્યારે દેશ ચલાવવાની વાત આવે છે, તો તેઓ (ભાજપ) લાંબા સમયથી આ કરી રહ્યું છે, તેથી તેઓ જાણકાર છે. સૂચનો આપી શકાય છે, પરંતુ તેમના ક્ષેત્રનો નિર્ણય તેમનો છે અને અમારા ક્ષેત્રનો અમારો છે.'
ત્યાર બાદ તેમણે મજાકના અંદાજમાં કહ્યું, 'જો અમે નક્કી કરતા હોત, તો આ કામમાં મોડું થાત ખરું?' ખાસ વાત એ છે કે હાલના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ બે વર્ષ પહેલાં પૂરો થઈ ચૂક્યો છે અને તેઓ કાર્યકાળના વિસ્તરણ પર છે.










