Get The App

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ! મોડી રાતે ફડણવીસ-શિંદેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ! મોડી રાતે ફડણવીસ-શિંદેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય 1 - image

Devendra Fadnavis-Eknath Shinde Meeting: મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણી વચ્ચે સત્તારુઢ મહાયુતિમાં મતભેદ જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે દરાર એટલી વધી ગઈ હતી  અને અટકળો શરુ થઈ ગઈ હતી કે બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી શકે છે. જોકે, હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મોડી રાત્રે થયેલી બેઠક બાદથી બંને સાથી પક્ષો વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 

ફડણવીસ-શિંદેની નાગપુરમાં બંધ બારણે બેઠક 

વાસ્તવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ સોમવારે મોડી રાતે નાગપુરમાં બંધ બારણે બેઠક કરી હતી. લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠક બાદ એ નિર્ણય લેવાયો કે, મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણીઓ મહાયુતિ તરીકે એક સાથે લડવામાં આવશે. બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ચંદ્રશેખર બાવનકુલે અને રવિન્દ્ર ચવ્હાણ પણ હાજર હતા.

નગર પાલિકા ચૂંટણી માટે સ્થાનિક નેતાઓ સાથે વાતચીત

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બેઠકમાં મુંબઈ અને થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મહાગઠબંધનના ભાગ રૂપે નગરપાલિકા ચૂંટણીઓ સંયુક્ત રીતે લડવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્તર પર નેતાઓ વચ્ચે આગામી બે-ત્રણ દિવસમાં વાતચીત શરુ થશે.

એકનાથ શિંદેની નારાજગી દૂર થઈ

બેઠકમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી કે, મહાયુતિના સાથી પક્ષો એકબીજા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ થવા નહીં દેશે. ભાજપ અને શિવસેનાના અધિકારીઓ અને કાર્યકરોને એકબીજાના પક્ષોમાં પ્રવેશ ન આપવા પર સંમતિ સધાઈ છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર જ નથી: મતદાર યાદી મામલે લોકસભામાં 'સંગ્રામ'

થોડા દિવસો પહેલા એકનાથ શિંદે આ જ વાતથી ભાજપથી નારાજ હતા. એટલું જ નહીં, એકનાથ શિંદેની શિવસેનાએ કેબિનેટ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ શિંદે અને ફડણવીસ વચ્ચે સમાધાનની બેઠક યોજાઈ હતી. એકનાથ શિંદેના કેટલાક મંત્રીઓ એ વાતથી પણ નારાજ હતા કે તેમણે લીધેલા નિર્ણયો તેમની જાણ વગર રદ કરવામાં આવી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ બધા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ એકનાથ શિંદેની નારાજગી દૂર કરવા માટે એક લાંબી બેઠક યોજાઈ હતી.