મોબ લિન્ચિંગના પીડિતોને વળતર માટે યોજના ઘડવા સુપ્રીમમાં માગ
- વળતરના આદેશનું પાલન ન થયું હોવાનો દાવો, સુપ્રીમે કેન્દ્ર-રાજ્યો પાસેથી જવાબ માગ્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇેલ કરવામાં આવી છે, જેમાં માગ કરાઇ છે કે મોબ લિન્ચિંગનો ભોગ બનનારા પીડિતોને વળતર આપવા માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા ચોક્કસ નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે અને કેન્દ્ર તેમજ રાજ્યો સરકારોને નોટિસ પાઠવીને આ માગણી મુદ્દે જવાબ માગ્યો છે. ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર પ્રોગ્રેસ એંડ રિફોર્મ્સ સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં માગણી કરવામાં આવી છે કે હેટ ક્રાઇમ અને મોબ લિન્ચિંગનો ભેગ બનનારા પીડિતો કે મૃતકોના પરિવારને વળતર આપવામાં આવે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આ માગણી મુદ્દે નોટિસ પાઠવીને ચાર સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ તેહસીન પૂનાવાલા કેસમાં મોબ લિન્ચિંગનો ભોગ બનેલા પીડિતોના પરિવારને વળતર આપવા માટે યોજના ઘડવા કહ્યું હતું, તે આદેશનું પાલન કરાયું કે કેમ તેનો પણ જવાબ માગવામાં આવ્યો હતો.
અરજદાર સંગઠન વતી દલીલો કરી રહેલા વકીલ જાવેદ શેખે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૮ના આદેશનું પાલન કરીને કેટલાક રાજ્યોએ મોબ લિન્ચિંગના પીડિતોના પરિવારને વળતર આપવા માટે યોજનાઓ ઘડી છે અને તેનો અમલ પણ કર્યો છે. જોકે આવી યોજના સમગ્ર દેશમાં લાગુ નથી કરવામાં આવી, કેટલાક રાજ્યોએ હજુ પણ સુપ્રીમના આદેશનું પાલન નથી કર્યું.