સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress-TMC Accuses Central Government in Delhi Blast : દિલ્હી બ્લાસ્ટ મામલે વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરુ કરી દીધા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળ ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. સાત મહિનામાં 41 ભારતીયો માર્યા ગયા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના પાછળ કોણ જવાબદાર છે?
વિસ્ફોટ સામગ્રી ત્યાં કેવી રીતે પહોંચી : કોંગ્રેસના સવાલ
સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) કહ્યું કે, ‘રાજધાની દિલ્હીમાં વિસ્ફોટની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. ગઈકાલે ફરીદાબાદમાંથી 360 કિલો વિસ્ફોટક પકડાયો હતો. આ વિસ્ફોટ સામગ્રી ત્યાં કેવી રીતે પહોંચી? બહુ મોટી ઘટના થવાની સંભાવના હતી. સાત મહિના પહેલા જ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે. કોની જવાબદારી છે?
‘સાત મહિનામાં 41 ભારતીયોને મારી નંખાયા’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ગૃહમંત્રી ક્યાં છે? વડાપ્રધાન ક્યાં છે? ભારતીયોની નિર્દયતાથી હત્યા થઈ રહી છે, છતાં બંને નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને કોઈ જવાબદારી પણ નથી. સાત મહિનામાં 41 ભારતીયોને મારી નંખાયા છે. અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. દિલ્હી પોલીસ કોના નિયંત્રણ હેઠળ છે? સરહદ સુરક્ષા માટે કોણ જવાબદાર છે? IBને કોણ રિપોર્ટ કરે છે? મોટી મોટી વાતો કરવાથી તમારી નિષ્ફળતા અને સુરક્ષામાં વારંવાર ચૂક ક્યારે છુપાશે નહીં. જો નિર્દોષ લોકોના મોત થશે, તો અવાજ ઉઠાવવામાં આવશે. જવાબદારી નક્કી કરાશે, કારણ દેશ સુરક્ષિત હાથોમાં નથી.’
દિલ્હીમાં વિસ્ફોટ થયો તો PM ભૂતાન જતા રહ્યા : પવન ખેડા
કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘બ્લાસ્ટની ઘટનાને ઘણો સમય વીતી ગયો છે, અફવાઓ વધુ ન ફેલાય તે માટે ગૃહમંત્રીએ માહિતી આપવી જોઈએ. ગૃહમંત્રી સુરક્ષા પર ધ્યાન રાખી રહ્યા નથી, તેઓ ચૂંટણી રાજ્યમાં એક હોટલમાં બેઠા છે અને તેઓ સીસીટીવીથી બચી રહ્યા છે. જ્યારે પહલગામમાં હુમલો થયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની યાત્રા છોડીને આવી ગયા હતા. હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો તો તેઓ ભૂતાન જતા રહ્યા છે. જો તેઓ વડાપ્રધાન હોત, તો તેમને દેશની ચિંતા હોત, વાતચીત વર્ચ્યુઅલ રીતે પણ થઈ શકી હોત.’
આ પણ વાંચો : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ
તૃણમૂલ કોંગ્રેસે પણ સાધ્યું નિશાન
દિલ્હી બ્લાસ્ટ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (TMC) પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)એ કહ્યું કે, ‘ભારતને મજબૂત ગૃહમંત્રીની જરૂર છે. શું આપણી સરહદ અને શહેરોની રક્ષા કરવાની જવાબદારી અમિત શાહની નથી? તે બધી બાબતોમાં આટલો ખરાબ રીતે કેમ નિષ્ફળ જઈ રહ્યા છે?’
દિલ્હી બ્લાસ્ટમાં 10ના મોત
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતાં યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ : ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !








