દિલ્હી-એનસીઆરના રિયલ્ટી ગ્રૂપની રૂ. 2348 કરોડની સંપત્તિ ટાંચમાં
- ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં 159 એકર જમીન સામેલ
- ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. અને તેની અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઇડીની કાર્યવાહી
નવી દિલ્હી : ઇડીએ દિલ્હી-એનસીઆરમાં મોટી કાર્યવાહી કરતા ૨૩૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સંપત્તિઓમાં ૧૫૯ એકર જમીન, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને નોએડામાં સ્થિર મિલકતો અને દિલ્હી-એનસીઆરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સામેલ છે.
ઇડીએ જણાવ્યું હતું કે તેણે રિયલ્ટી જૂથ ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ અને ડબ્લ્યુટીસી જૂથની અન્ય સંસ્થાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ૨૩૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જેમાં ગોવામાં કેટલાક રેસિડેન્સિયલ એકમો ઉપરાંત દિલ્હી એનસીઆરમાં અનેક એકર જમીન અને નહીં વેચાયેલી સ્થિર મિલકતો સામેલ છે.
સંઘીય તપાસ એજન્સીએ આ સંપત્તિઓ ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી આશીષ ભલ્લાની અધ્યક્ષતાવાળા ડબ્લ્યુટીસી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ અને ડબ્લ્યુટીસી જૂથની અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ એક મોટા રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં કરવામાં આવી છે.
ઇડીના જણાવ્યા અનુસાર ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં લગભગ ૧૫૯ એકર લાઇસન્સવાળી અને લાયસન્સ વગરની જમીન, દિલ્હી ગુરુગ્રામ, ફરીદાબાદ અને નોઇડામાં નહીં વેચાયેલી સ્થિર મિલકત, ગોવામાં રેસિડેન્સિયલ સંપત્તિ અને દિલ્હી એનસીઆરમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ સામેલ છે.
એજન્સીએ જણાવ્યું હતું કે આ સંપત્તિઓની કીંમત ૨૩૪૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મની લોન્ડરિંગની તપાસ હરિયાણાની ફરીદાબાદ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કંપની અને તેના પ્રમોટરોની વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરુના આરોપોમાં દાખલ ૩૦થી વધુ એફઆઇઆર પર આધારિત છે.
એજન્સીએ દાવો કર્યો છે કે ભલ્લા અને તેના જૂૂથની કંપનીઓએ ૧૨૦૦૦થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. ઇડીએ તપાસ હેઠળ માર્ચમાં ભલ્લાની ધરપકડ કરી હતી.