Get The App

VIDEO : રક્ષાબંધને દિલ્હીમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ ટ્રાફિક જામ

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : રક્ષાબંધને દિલ્હીમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ ટ્રાફિક જામ 1 - image

Delhi Rain : દિલ્હીમાં રક્ષાબંધનના દિવસે ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. બીજીતરફ રાજધાનીના જેતપુર વિસ્તારમાં ઝુંપડપટ્ટી પાસે એક લાંબી દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં બે બાળકીઓ સહિત સાત લોકોના મોત થયા છે. આજે તહેવારના દિવસે અનેક કલાકો સુધી વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાવાની સાથે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અહીં અનેક વિસ્તારોમાં ઘૂંસણસમા પાણીથી લઈને ચાર ફૂટ સુધી પાણી ભરાયા છે.

દિલ્હીમાં જીવલેણ દુર્ઘટના

દિલ્હીના જેતપુર વિસ્તારમાં આજે સવારે ભારે વરસાદ વચ્ચે એક લાંબી દિવાલ ધરાશાઈ થઈ છે, જેમાં ત્રણ પુરુષ, બે મહિલા અને બે બાળકીઓના મોત થયા છે. દિવાલ પાસે ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકો પણ કાટમાળ નીચે દબાઈ ગયા છે. રિપોર્ટ મુજબ ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. દક્ષિણ પૂર્વના DCPએ કહ્યું કે, 10થી 15 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીમાં દિવાલ ધરાશાયી થઈ હતી. અહીં મોટાભાગના ભંગારના વેપારીઓ રહેતા હતા. દિવાલ પડવાથી આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ભારે વરસાદના કારણે દિવાલ પડી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી છે.

સરકાર બદલાઈ... દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્

રક્ષાબંધનના દિવસે વરસાદ પડવાના કારણે દુકાનદારો નિરાશ થયા છે. અનેક ઠેકાણે પાણી ભરાવના કારણે ગ્રાહકો મિઠાઈ લેવા દુકાન સુધી પહોંચી સકતા નથી, જેના કારણે માર્કેટની રોનક છિનવાઈ ગઈ છે. આમ તો દિલ્હીમાં સરકાર બદલાઈ ઘઈ છે, પરંતુ સ્થિતિ એની એ જ છે. દિલ્હીમાં અગાઉ પણ વરસાદ વખતે ભારે પાણી ભરાતા હતા અને આજે પણ એવી જ સ્થિતિ છે. દર વર્ષે પાણીને ડ્રેનેઝ લાઈનોમાં સફાઈ કરાઈ હોવાનો દાવો કરવામાં આવે છે, જોકે વર્તમાન સ્થિતિએ તંત્રની પોલ ખોલી નાખી છે.

દિલ્હી મેટ્રો પાસે દિવાલ ધરાશાયી

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના નિર્માણાધીન સ્થળ મહિપાલપુર-મહેરૌલી રોડ પાસે એક ભૂવો પડ્યો છે, જેના કારણે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઘટના મસૂદપુર ફ્લાયઓવર નીચે ડી-6 વિસ્તાર પાસે બની હતી, જેના પગલે ફોર્ટિસ હોસ્પિટલથી મહિપાલપુર તરફ જતો રસ્તો ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ ડીએમઆરસીના કોર્પોરેટ કોમ્યુનિકેશનના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ દયાલને ટાંકીને કહ્યું કે, ‘કોઈ પણ જાનમાલને નુકસાન થયું નથી. મસૂદપુર ફ્લાયઓવર નીચે ફૂટપાથ પાસેનો રસ્તો સાવચેતીના પગલા તરીકે બેરિકેડ કરવામાં આવ્યો છે.’

એનસીઆર અને ઉત્તર ભારતમાં પણ પૂર જેવી સ્થિતિ

માત્ર દિલ્હી જ નહીં, એનસીઆર અને અનેક રાજ્યોમાં પણ ગંભીર સ્થિતિ છે. નોઈડા, ગાજિયાબાદ, ગુરુગ્રામ અને ફરિદાબાદમાં રસ્તાઓ પર પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી અને જોનપુરમાં ગંગા અને અન્ય નદીઓના જળસ્તરમાં વધારો થતા ઘાટ અને મંદિરો ડૂબી ગયા છે. મુરાદાબાદમાં રામગંગા નદીએ તબાહી મચાવી છે, જેમાં ખેડૂતોનો પાક નષ્ટ થતા ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર', DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંફાવ્યું