દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Crime News: દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવારે (29મી ઓગસ્ટ) રાત્રે બની હોવાનું કહેવાય છે. દર્શન માટે આવેલા કેટલાક ભક્તોને ચુન્ની-પ્રસાદ ન મળતાં તે ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ વિવાદ થયો અને સેવાદારને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક આરોપી અતુલ પાંડેની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો
પોલીસના જણાવ્યાનુસાર, કાલકાજી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. કાલકાજી મંદિરમાં થયેલી લડાઈ અંગે પીસીઆર કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપી કાલકાજી મંદિરમાં દર્શન માટે આવ્યો હતો. દર્શન કર્યા પછી તેણે સેવાદાર પાસેથી ચુન્ની-પ્રસાદ માંગ્યો અને તેમની વચ્ચે દલીલ થઈ હતી.
આરોપીઓએ સેવાદાર પર લાકડીઓ અને મુક્કાઓથી હુમલો કર્યો. જેના કારણે સેવાદાર ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક એઈમ્સ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. મૃતકની ઓળખ 35 વર્ષીય યોગેન્દ્ર સિંહ તરીકે થઈ છે. જે ઉત્તર પ્રદેશના હરદોઈના ફત્તેપુરનો રહેવાસી હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટતાં વિનાશ, 7 લોકોના મોત, અનેક ઘર કાટમાળમાં ફેરવાયા
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે યોગેન્દ્ર છેલ્લા 14-15 વર્ષથી કાલકાજી મંદિરમાં સેવાદાર હતો. હાલમાં આ કેસમાં કલમ 103(1)/3(5) BNS હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. દક્ષિણપુરીના રહેવાસી 30 વર્ષીય અતુલ પાંડે નામના આરોપીની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે અને તેમને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.









