Get The App

દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ 1 - image

Coronavirus in Delhi: ફરી એકવાર કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને તમામ હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર સહિત અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં, હોસ્પિટલ પરિસરમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હીમાં કોવિડના 23 કેસની પુષ્ટિ થઈ

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી પંકજ કુમાર સિંહે શુક્રવારે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અંગે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ગુરુવાર સુધીમાં દિલ્હીમાં કોવિડના 23 કેસની પુષ્ટિ થઈ છે. સરકાર કોવિડના વર્તમાન પુષ્ટિ થયેલા કેસોની ચકાસણીની પ્રક્રિયામાં છે. આ દર્દીઓ દિલ્હીના છે કે બહારથી આવ્યા છે તેની તપાસ કરાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, NCRમાં અત્યાર સુધીમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે. જેમાંથી ગાઝિયાબાદમાં 4, ગુરુગ્રામમાં 3 અને ફરીદાબાદમાં 2 દર્દી કોરોના પોઝિટિવ છે.

હોસ્પિટલોને એલર્ટ કરાઈ

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્હીની તમામ હોસ્પિટલોના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ડોકટરો અને તેમની ટીમો સાથે સંકલન કરવામાં આવ્યું છે. હોસ્પિટલો અને સ્વાસ્થ્ય સુવિધાઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

લોકોએ આરોગ્ય અને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ

સ્વાસ્થ્ય વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે સમય સમય પર લોકોને માહિતી આપતા રહીશું. લોકોને આરોગ્ય અને સલામતીના તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને અધિકારીઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગે કોવિડ-19ની તૈયારીઓ અંગે દિલ્હી સરકારની તમામ હોસ્પિટલોને એક એડવાઇઝરી જાહેર કરી છે.

NCRમાં અત્યાર સુધીમાં 9 કોરોના કેસ નોંધાયા

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં નવ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. રિપોર્ટ મુજબ, ગુરુગ્રામમાં ત્રણ, ફરીદાબાદમાં બે અને ગાઝિયાબાદમાં ચાર નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે.

સ્વાસ્થ્ય કર્મચારીઓને ફરીથી તાલીમ આપો

એડવાઇઝરી મુજબ, કોવિડ-19નો સામનો કરવા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓને ફરીથી તાલીમ આપવી જોઈએ. હોસ્પિટલોમાં પથારી, ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, અન્ય દવાઓ અને રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરો. હોસ્પિટલમાં વેન્ટિલેટર, બાય-પેપ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, PSA વગેરે જેવા તમામ સાધનો કાર્યરત સ્થિતિમાં હોવા જોઈએ.

દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ 2 - image