રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી
- આ પોલિસીના કારણે દિલ્હીની અર્થવ્યવસ્થાને વેગ મળશે, રોજગાર વધશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે : કેજરીવાલ
નવી દિલ્હી, તા. 7 ઓગષ્ટ 2020, શુક્રવાર
દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણની રાજધાની પણ છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આ પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે શુક્રવારે દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ વડે આ માહિતિ આપી છે. આ નવી પોલિસીને પ્રગતિશીલ ગણાવીને કેજરીવાલે દાવો કર્યો છે કે આ પોલીસીને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સિવાય આગામી પાંચ વર્ષમાં લગભગ પાંચ લાખ ઇલેક્ટ્રિક ગાડીઓના રજીસ્ટ્રેશનની આશા તેમણે દર્શાવી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે આજે ઇલ્ક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી છે. આ નીતિના અમલથી મારો ઉદ્દેશ દિલ્હીની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો, રોજગાર ઉભા કરવાનો અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરવાનો છે. આ ઇલેક્ટ્રિક વાહન પોલિસી દેશની સૌથી પ્રગતિશીલ પોલિસી છે.’
કેજરીવાલે એવી આશા પણ જણાવી છે કે આગામી પાંચ વર્ષમાં આ નવી પોલિસી અંતર્ગત પાંચ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થશે. આ નીતિને લાગુ કરવા માટે દિલ્હી સરકાર ‘ઇવી સેલ’ની રચના કરશે. આ સિવાય સરકારનું લક્ષ્ય આવનાર બે વર્ષમાં 200 જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે, જેથી દર ત્રણ કિલોમીટરના અંતરે એક ચાર્જિંગ સ્ટેશનની સુવિધા મળી શકે.
ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેનો ખર્ચ ઇવી ફંડમાંથી કરવામાં આવશે. તેની સાથે જ એક સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હિકલ બોર્ડની રચના પણ કરવામાં આવશે, જેના અધ્યક્ષ પદે રાજ્યના પરિવહન મંત્રીની નિમણૂંક કરવામાં આવશે.