દિલ્હી બ્લાસ્ટના દોષિતોને છોડીશું નહીં... ઉચ્ચ સ્તરીય બેઠક પછી ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Car Blast In Delhi’s Red Fort : રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 8 લોકોના મોત થઈ ગયા હતા. જો કે આજે મૃત્યુઆંક વધીને 13 સુધી પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો ખાસ કરીને હરિયાણા અને ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ફરીદાબાદ સહિત દિલ્હીમાં 1000થી વધુ પોલીસ જવાનો બ્લાસ્ટને લગતી માહિતી વિશે તથ્યો એકઠાં કરવા મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
DELHI BLAST LIVE UPDATES
દિલ્હી બ્લાસ્ટના ગુનેગારોને છોડીશું નહીં: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે 11 નવેમ્બરે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અમિત શાહે કહ્યું કે, 'અધિકારીઓને આ ઘટનાની પાછળના દરેક ગુનેગારોને શોધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને અમારી એજન્સીઓની આકરી સજા મળશે, કોઈને છોડવામાં નહીં આવે.'
કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસ NIAને સોંપી
અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIAને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં પુલવામાના વધુ એક ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ, ઉમરનો મિત્ર છે
માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડૉ. ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામી ગયો હોઈ શકે છે. જોકે આ હજુ તપાસનો વિષય છે.
ભુતાનમાં દિલ્હીની ઘટનાનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલે રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.'
1000થી વધુ પોલીસકર્મી તપાસમાં લાગ્યા
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફરીદાબાદ પોલીસે પણ ગામમાં મેગા ઓપરેશન ચલાવ્યું છે. ફરીદાબાદ પોલીસ ધૌજ, ફતેહપુર તગામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અલ ફલાહ મેડિકલ કૉલેજમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સમગ્ર ઓપરેશનમાં 1000થી વધુ પોલીસ કર્મીઓ સામેલ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને રિઝર્વ પોલીસ પણ સામેલ છે.
દિલ્હીમાં મૃતકાંક વધીને 12 થયો
દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને 12 થઈ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે.

દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર ઈઝરાયલનું નિવેદન
ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયૂવેન અઝારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાથી મારું હૃદય ભાંગી પડ્યું છે. દિલ્હીના માર્ગો પર જે જયું તેનાથી હચમચી ગયા છીએ. આશા છે કે ઘાયલો જલદી રિકવર થશે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના. સુરક્ષાદળ અને બચાવ ટીમે સારું કામ કર્યું.
હુમલામાં વપરાયેલી કારના ચાલકના DNA ટેસ્ટ કરાવાશે
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારમાં સવાર યુવક ફરીદાબાદનો ડૉક્ટર ઉમર મોહમ્મદ હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વાતની પુષ્ટિ કરવા માટે કાર ચાલકના DNA ટેસ્ટ કરાવવામાં આવશે.
દિલ્હી વિસ્ફોટ મામલે મોહમ્મદ ઉમર સાથે સંકળાયેલા 12ની અટકાયત
દિલ્હી વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.
દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાને પગલે લાલ કિલ્લો 3 દિવસ માટે બંધ

દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનને બંધ કરાયું
સુરક્ષાના કારણોસર આજે ડીએમઆરસી દ્વારા લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનને પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત આજ પૂરતી છે અને અન્ય મેટ્રો સ્ટેશન રાબેતા મુજબ ચાલુ રહેશે.
પહાડગંજ અને દરિયાગંજમાં હોટલોમાં પોલીસે દરોડા પાડ્યા, ચારની અટકાયત
દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આખી રાત દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ અને આસપાસના વિસ્તારોમાં હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ટીમોએ હોટલના રજિસ્ટર તપાસ્યા. સર્ચ દરમિયાન ચાર શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
સલમાન કારનો સાચો માલિક નહીં!
દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તે કારનું રજિસ્ટ્રેશન સલમાનના નામે હોવાનું કહેવાય છે. તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જોકે તેણે ખુલાસો કર્યો છે કે આ કાર તેણે દેવેન્દ્ર નામની વ્યક્તિને વેચી દીધી હતી. તે હરિયાણાનો જ રહેવાશી હતો. હવે પોલીસ આ દેવેન્દ્રને શોધી રહી છે. એવું કહેવાય છે કે દેવેન્દ્રએ આ કાર અંબાલામાં કોઈને આગળ વેચી દીધી હતી.
બદરપુર બોર્ડથી દિલ્હીમાં એન્ટર થઈ હતી હુમલામાં વપરાયેલી કાર
દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી i20 કાર અંગે મહત્ત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. આ કાર દિલ્હી અને હરિયાણાને જોડતી બદરપુર બોર્ડર દ્વારા દિલ્હીમાં પ્રવેશી હતી. પોલીસ કારનું CCTV મેપિંગ કરી રહી છે.
દિલ્હીમાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંના સવારના દૃશ્યો
દિલ્હીમાં ગત રાત્રિએ કારમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ એફએસએલ અને સુરક્ષાદળોની ટીમ વહેલી સવારે તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી પુરાવાઓ એકઠાં કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પોલીસની મોટી કાર્યવાહી, UAPA અને BNSની કલમો હેઠળ કેસ દાખલ
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ UAPA, વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે UAPA, વિસ્ફોટક અધિનિયમ અને BNSની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી
દિલ્હી બ્લાસ્ટને પગલે અમેરિકાના દૂતાવાસે ભારતમાં રહેતા તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરી હતી. દૂતાવાસે તેની વેબસાઇટ પર જણાવ્યું કે 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમાં અનેક લોકોના ઘાયલ અને મોતની જાણકારી મળી છે. હાલ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. અમારી નાગરિકોને સલાહ છે કે તે લાલ કિલ્લા, ચાંદની ચોક અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહે અને સ્થાનિક મીડિયા દ્વારા સતત અપડેટ મેળવતા રહે અને સાવચેત રહે.
બ્લાસ્ટના થોડીવાર પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
દિલ્હી બ્લાસ્ટની ઘટનાના થોડીવાર પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક I-20 કાર ટ્રાફિકમાંથી પસાર થતી દેખાઈ રહી છે. કારની અંદર જે વ્યક્તિ બેઠો છે તે આતંકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેણે કાળા રંગનો માસ્ક પહેર્યો હોય તેવું લાગે છે. આ સીસીટીવી ફૂટેજ બ્લાસ્ટમાં મહત્ત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. આ કાર ચાલક ડૉ. ઉમર મોહમ્મદ હોવાનું કહેવાઈ રહ્યું છે જે ડ્રાઇવિંગ સીટ પર બ્લેક માસ્ક પહેરીને બેઠો હતો.
હુમલામાં વપરાયેલી કારનો માલિક કોણ?
વિસ્ફોટમાં જે કારનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે, તે I-20 કાર સલમાન નામના વ્યક્તિના નામે નોંધાયેલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર માલિક સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન સલમાને કહ્યું છે કે, તેણે આ કાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી. આ કાર હરિયાણાની HR નંબરની હતી, જેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં ગુરુગ્રામના સરનામે થયું હતું. સફેદ રંગની આ કારમાં CNG કીટ લાગેલી હતી. પોલીસ હવે RTOના રૅકોર્ડ્સ દ્વારા કારના વેચાણ અને ટ્રાન્સફરની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે વિસ્ફોટ સમયે આ કાર કોના કબજામાં હતી અને તેનો હાલનો સાચો માલિક કોણ છે.
અનેક રાજ્યોમાં હાઇઍલર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી પાસે બ્લાસ્ટની અંગે જાણકારી મેળવી છે. બ્લાસ્ટ બાદ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસને હાઇઍલર્ટ કરી દેવાઈ છે.
સમગ્ર દિલ્હીમાં હાઇઍલર્ટ:
લાલ કિલ્લા પાસે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર
લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.








