India

દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું

By GS TEAM
15 Feb 20262 mins read
દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું

- આત્મઘાતી હુમલાની તપાસમાં મોટો ઘટસ્ફોટ

- ઇસ્લામમાં આત્મહત્યા હરામ હોવાનું કહી એક યુવકે ઉમર સાથે આત્મઘાતી બોમ્બર બનવાની ના પાડી દીધી હતી

- બાદમાં આદિલે અન્ય યુવકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, તેણે આ માટે સ્થાનિક કાશ્મીરી યુવાનોને ટાર્ગેટ કર્યા હતા. 

શ્રીનગર: દિલ્હીમાં કાર સુસાઇડ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં નવો ખુલાસો થયો છે. જમ્મુ કાશ્મીર પોલીસ આ વિસ્ફોટ પાછળના વ્હાઇટ કોલર ટેરર મોડયુલની તપાસ કરી રહી છે, જેમાં સામે આવ્યું છે કે આ હુમલામાં જે ડોક્ટરોને સામેલ કરાયા હતા તેમને વર્ષ ૨૦૧૬થી કટ્ટરવાદી બનાવવામાં આવી રહ્યા હતા. વિસ્ફોટકો ભરેલી કારમાં ખુદને બોમ્બથી ઉડાવી દેનારા આતંકી ડોક્ટર ઉમર નબીએ ૨૦૧૬-૧૮માં આતંકી સંગઠનમાં સામેલ થવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.    

કાશ્મીરી યુવાનોને નિશાન બનાવી સંગઠનમાં સામેલ કરી આત્મઘાતી બોમ્બર બનાવવાનું કામ શરૂ થઇ ગયું હતું

પોલીસે જણાવ્યું હતું કે એપ્રીલ ૨૦૨૨ના શ્રીનગરમાં ઇદગાહમાં ઉમર નબી, મુઝમ્મીલ ગની, આદીલ રથેર તેનો ભાઇ મુઝ્ઝાફર, મૌલવી ઇરફાન, કારી આમીર અને તૌફેલ ગાઝી મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તમામ આરોપીઓએ એક આતંકી સંગઠન અન્સાર ઇન્ટેરિમ સ્થાપિત કરવા નિશ્ચય કર્યો હતો, જેમાં આદીલને ગુ્રપનો વડો બનાવાયો હતો, મૌલવી ઇરફાનને ડેપ્યુટી વડો, ગનીને અન્ય પદ સોંપાયું હતું, અંસાર નામનું આતંકી સંગઠન એક છે જે અલ કાયદા સાથે જોડાયેલું છે. તેના જેવુ જ એક નવુ સંગઠન આ આતંકી ડોક્ટરોએ બનાવી લીધુ હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને અલગ થલગ કરી દેવાયા છે જેને પગલે આ નવુ સંગઠન બનાવવાની જરૂર ઉભી થઇ હોવાની ચર્ચા આ બેઠકમાં થઇ હતી, જેમાં સંગઠના હોદ્દેદારો પણ નિમવામાં આવ્યા હતા.

આવા જ એક યુવક દાનીશના સંપર્કમાં આદિલ આવ્યો હતો, તે બાદમાં આ યુવકને ફરિદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં લઇ ગયો હતો જ્યાં તેના રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. આ દરમિયાન દાનીશની મુલાકાત સુસાઇડ બોમ્બર ઉમર સાથે થઇ હતી, ઉમર એકલા બોમ્બ બ્લાસ્ટ કરવા નહોતો માગતો તેણે દાનીશને આત્મઘાતી હુમલાખોર બનવા દબાણ કર્યું હતું પણ તે તૈયાર નહોતો થયો. દાનીશે એવી દલીલ કરી હતી કે ઇસ્લામમાં આત્મહત્યા હરામ છે, સાથે જ તેની આર્થિક પરિસ્થિતિ પણ સારી નહોતી. બાદમાં ઉમરે એકલા જ સુસાઇડ બોમ્બર બનીને આ કાર વિસ્ફોટને અંજામ આપ્યો હતો. જેમાં અનેક લોકો માર્યા ગયા હતા.