દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ

Delhi Blast case: દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ તે વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે આત્મઘાતી બોમ્બર સાથે મળીને આતંકવાદી કાવતરું ઘડ્યું હતું.
ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે. વિસ્ફોટમાં વપરાયેલી કાર તેના નામે નોંધાયેલી હતી. NIA એ તેને દિલ્હીમાં પકડી લીધો હતો. દિલ્હી પોલીસ શરૂઆતમાં વિસ્ફોટની તપાસ કરી રહી હતી, પરંતુ બાદમાં કેસ NIA ને સોંપવામાં આવ્યો હતો. કેસ સંભાળ્યા પછી, NIA એ એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આમીરની ધરપકડ કરવામાં આવી.
તપાસમાં જાણવા મળ્યું કે આમિર જમ્મુ અને કાશ્મીરના પમ્પોરના સાંબુરાનો રહેવાસી છે. તેણે પુલવામાના ઉમર ઉન નબી નામના વ્યક્તિ સાથે મળીને હુમલાની યોજના બનાવી હતી. આમિર તે કાર ખરીદવામાં મદદ કરવા માટે દિલ્હી આવ્યો હતો જેનો ઉપયોગ પાછળથી વિસ્ફોટ માટે IED (બોમ્બ બનાવવાનું ઉપકરણ) તરીકે કરવામાં આવ્યો હતો.
આત્મઘાતી બોમ્બરની ઓળખ
ફોરેન્સિક તપાસ દ્વારા, NIA એ વિસ્ફોટ સમયે કારમાં રહેલા ડ્રાઇવરની ઓળખ કરી છે. તેનું નામ ઉમર ઉન નબી છે. પુલવામાનો રહેવાસી ઉમર હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. આનો અર્થ એ થયો કે ડૉક્ટર પોતે આતંકવાદી કાવતરામાં સામેલ હતો.

અન્ય વાહનો જપ્ત, તપાસ ચાલુ
NIA એ ઉમર ઉન નબીની વધુ એક ગાડી જપ્ત કરી છે. વધુ પુરાવા એકત્ર કરવા માટે તે વાહનની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં, એજન્સીએ 73 સાક્ષીઓની પૂછપરછ કરી છે, જેમાં 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે, જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

એક સરકારી પ્રેસ રિલીઝમાં હુમલામાં કુલ 10 લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું. જોકે, અધિકારીઓએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા છે.

