Get The App

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
Increase in Financial Assistance for Ex Servicemen and Dependents

Increase in Financial Assistance for Ex Servicemen and Dependents: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય સૈનિક બોર્ડ (KSB) દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોને અપાતી નાણાકીય સહાયમાં 100% વધારો કરવાને મંજૂરી આપી છે. આ વધારાના નિર્ણયથી આશ્રિતોને શિક્ષણ, લગ્ન અને ગરીબી અનુદાન માટે મળતી નાણાકીય સહાયની રકમ બમણી થઈ જશે. આ સુધારેલા દરો આવતા મહિનાની 1લી નવેમ્બરથી અસરકારક બનશે.

નિધનતા અનુદાનમાં 100% વધારો

બુધવારે સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ યોજનાઓનું અમલ કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ મારફતે કરવામાં આવે છે. નાણાકીય સહાયમાં કરવામાં આવેલા મુખ્ય વધારા અંતર્ગત, નિધનતા અનુદાનની રકમ ₹4,000 પ્રતિ માસથી વધારીને પ્રતિ લાભાર્થી ₹8,000 પ્રતિ માસ કરવામાં આવી છે. આ સહાય એવા પૂર્વ સૈનિકોના આશ્રિતો અને વિધવાઓને આજીવન મળશે જેઓ 65 વર્ષથી વધુ વયના છે, નિયમિત આવક ધરાવતા નથી અને બિન-પેન્શનભોગી છે.

આશ્રિતો માટે શિક્ષણ અનુદાનમાં વધારો

શિક્ષણ અનુદાનની વાત કરીએ તો, આ શ્રેણીમાં બે આશ્રિત બાળકો (જેઓ ધોરણ 1થી સ્નાતક સુધી અભ્યાસ કરી રહ્યા હોય) અથવા બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસમાં જોડાયેલી વિધવાઓ માટે શિક્ષણ અનુદાનની રકમ ₹1,000થી વધારીને ₹2,000 પ્રતિ વ્યક્તિ દર મહિને કરવામાં આવી છે.

વિવાહ અનુદાનમાં 100% વધારો

સરકાર દ્વારા લગ્ન અનુદાનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ રકમને ₹50,000થી વધારીને પ્રતિ લાભાર્થી ₹1,00,000 કરી દેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ અનુદાન વધુમાં વધુ બે પુત્રીઓના લગ્ન અથવા વિધવાના પુનઃલગ્ન માટે માન્ય ગણાશે. જોકે, તેના માટેની શરત એ છે કે લગ્ન આ આદેશ જારી થયા બાદ જ સંપન્ન થયેલા હોવા જોઈએ.

આ પણ વાંચો: 'યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો', સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી

નવા દરો 1 નવેમ્બર, 2025થી લાગુ

સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 1 નવેમ્બર, 2025 પછી પ્રાપ્ત થનારી અરજીઓ પર જ આ મંજૂર કરાયેલા નવા દર લાગુ થશે. આ નિર્ણયના કારણે દર વર્ષે આશરે ₹257 કરોડનો વધારાનો નાણાકીય બોજ ઊભો થશે, જેની પૂર્તિ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ માંથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ યોજનાઓ રક્ષા મંત્રી પૂર્વ સૈનિક કલ્યાણ કોષ હેઠળ સંચાલિત થાય છે, જે પોતે જ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડનું એક પેટા ફંડ છે.

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ 2 - image