India

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

By GS TEAM
20 Dec 20252 mins read
અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

- પુત્રીને સંપત્તિમાં હિસ્સો ન આપવાના પિતાના નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો

- માન્ય વસીયતનામામાં દખલ ના દઇ શકાય, સંપત્તિના માલિકની ઇચ્છા સમાનતાના અધિકાર કરતા નાની નથી : સુપ્રીમ

નવી દિલ્હી : અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ પુત્રીને પિતાએ સંપત્તિમાંથી કાઢી મુકી હતી. બાદમાં પુત્રી પિતાની સંપત્તિમાં અધિકાર માટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પિતાના સમર્થનમાં ચુકાદો આપ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે વસીયતનામુ કરનારાની મરજી સમાનતાના અધિકાર કરતા વધુ પ્રબળ જણાય છે. માટે પિતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવે છે.

કેરળના એર્નાકુલમના એમએસ શ્રીધરણને કુલ નવ સંતાનો છે, જેમાંથી એક પુત્રી શાયલા જોસેફે ધર્મ બહારની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જેને પગલે શ્રીધરણે પોતાની સંપત્તિમાંથી પુત્રીને બહાર રાખી હતી. આ નિર્ણયને બાદમાં પુત્રી દ્વારા કોર્ટમાં પડકારાયો હતો, ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ બન્નેએ પિતાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો અને તેમણે પુત્રીને સંપત્તિમાંથી બાકાત રાખી જે વસીયતનામુ બનાવ્યું હતું તેને ગેરકાયદે જાહેર કર્યું હતું. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટના નિર્ણયને પલટીને પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, કે વિનોદચંદ્રનની બેંચે સુનાવણી કરી હતી. પુત્રી શાયલાના વકીલે એવી દલીલ કરી હતી કે સંપત્તિમાં બહુ જ મામુલી હિસ્સાની અમે માગણી કરી છે. બાદમાં સુપ્રીમની બેંચે સ્પષ્ટતા કરી હતી કે સંપત્તિની વહેચણીને લઇને સંપત્તિના માલિકની જે ઇચ્છા હોય તેની વચ્ચે સમાનતાના અધિકારો ના આવી શકે. આ મામલામાં સંપત્તિની માલિકી જે ધરાવે છે તેની ઇચ્છા સર્વોપરી છે. જે વસીયતનામુ સાબિત કરી દેવાયું હોય તેમાં દખલ ના આપી શકાય.