Tamilandu News: દેશમાં શિયાળાની શરૂઆત થઇ ગઇ છે એવામાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડાએ હાલ થાઇલેન્ડ અને મલેશિયામાં ભારે તારાજી સર્જી છે અને 33 લોકોનો ભોગ લીધો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સેન્યાર નામનું આ વાવાઝોડુ ઇન્ડોનેશિયા તરફથી ભારત આવી રહ્યું છે. હાલ તેણે ઇન્ડોનેશિયાનો સમુદ્રી કિનારો પાર કરી લીધો છે અને હવે તે બંગાળની ખાડીમાં પ્રવેશી રહ્યું છે જ્યાંથી તે ૨૭મી તારીખે અંદામાન નિકોબાર તરફ આગળ વધશે. જ્યાંથી બાદમાં 28 થી 29 નવેમ્બરના રોજ અથવા એ પહેલા તમિલનાડુમાં ત્રાટકી શકે છે.
જેને પગલે તમિલનાડુ અને પુડ્ડુચેરી આસપાસના રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ દરમિયાન પ્રતિ કલાક 80 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. સાથે જ વરસાદ પણ પડશે. વરસાદનો આ સિલસિલો એક ડિસેમ્બર સુધી રહેવાની શક્યતાઓ છે. તમિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશ, કેરળના તટીય વિસ્તારો સુધી પણ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ વાવાઝોડાએ હાલ થાઇલેન્ડ અને મલેશિયામાં ભારે તારાજી સર્જી છે અને અત્યાર સુધીમાં 33 લોકોનો ભોગ લીધો છે.


