Ditwah Strom news : બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ વાવાઝોડું શનિવારે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી તમિલનાડુના દરિયા કિનારે રવિવારની વહેલી સવારે ત્રાટક્યું હતું. શ્રીલંકામાં દિતવાહ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનથી 150થી વધુ લોકોનાં મોત થયા હતા. આ વાવાઝોડું ભારત પર ત્રાટકે તે પહેલાં તેની અસર હેઠળ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો.
Cyclone Ditwah Live UPDATES
'દિતવા' વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચ્યું, સાંજ સુધીમાં ખતરો વધશે
બંગાળની ખાડીમાં બનેલું 'દિતવા' નામનું ચક્રવાતી તોફાન હવે તીવ્ર બનીને તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. આજે સવારે, આ વાવાઝોડું પુડુચેરીથી લગભગ 130 કિમી અને ચેન્નઈથી 220 કિમી દૂર દરિયામાં કેન્દ્રિત હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન 7 કિમી પ્રતિ કલાકની ધીમી ગતિએ દરિયાકાંઠાને સમાંતર ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. સૌથી ચિંતાની વાત એ છે કે તે સતત દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે; આજે સાંજ સુધીમાં તે તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાથી માત્ર 30 કિલોમીટરના અંતરે પહોંચી જશે, જેને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે દિતવાહ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના પાંચ જિલ્લા ચિત્તૂર, તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ અને બાપટલા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
54 ફ્લાઈટ્સ રદ
તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટ રદ કરાઈ હતી અને અનેક જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશની સરકારોએ કહ્યું કે તેઓ કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
તમિલનાડુમાં ભારે વરસાદ
દિતવાહ ચક્રવાતના કારણે તમિલનાડુના રામનાથપુરમ અને નાગપટ્ટિનામ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને પગલે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વેધરણ્યમ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે અંદાજે 9000 એકરમાં ફેલાયેલા મીઠાના ખેતર પાણીમાં ડૂબી ગયા હતા, જેનાથી ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે. આ સિવાય એક લાખ એકરમાં ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું છે અને અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોંચી
ચક્રવાત દિતવાહનો સામનો કરવા માટે રાજ્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ સહિત 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરાઈ છે. તમિલનાડુમાં લગભગ 6000 રાહત શિબિર બનાવાયા છે. જોકે, હજુ સુધી બહુ ઓછી સંખ્યામાં લોકોનું ત્યાં સ્થળાંતર કરાયું છે. ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં હવાઈ અને રેલવે સેવાઓ પર અસર થઈ છે. ચેન્નઈ એરપોર્ટ પર 54 ફ્લાઈટ રદ કરાઈ છે જ્યારે સધર્ન રેલવેએ તેની અનેક ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કર્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિતવાહ ચક્રવાત તમિલનાડુના નાગપટ્ટિનામ જિલ્લામાં વેધરણ્યમના કાંઠે કેન્દ્રીત થશે. ચેન્નઈ અને ચેંગલપટ્ટુ સહિત આજુબાજુના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને સમુદ્રથી દૂર રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવધાની રાખવા ચેતવણી આપી છે.


