ચક્રવાતી તોફાન 'બિપોરજોય' ભીષણ વાવાઝોડામાં થયું રૂપાંતરિત, મોનસૂનની શરૂઆત ધીમી રહેવાની શક્યતા
આજે અથવા કાલે કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા વધી
આ વર્ષે અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાતી તોફાન બિપોરજોય ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું છે. હવામાનશાસ્ત્રીઓએ કેરળમાં ચોમાસાની "ધીમી" શરૂઆત અને તેના દક્ષિણી દ્વીપકલ્પ આગળ "નબળી" પ્રગતિની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે કેરળમાં આજે અથવા કાલે ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ છે. જોકે ચક્રવાતી તોફાન ચોમાસાની તીવ્રતાને અસર કરી રહ્યું છે અને કેરળ પર તેની શરૂઆત 'ધીમી' થશે.
ભારત સહિત આસપાસના દેશો પર કોઈ મોટી અસર થવાની આગાહી નથી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ઉત્તર તરફ આગળ વધીને ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. આ પછી, તે આગામી ત્રણ દિવસમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જોકે, IMD એ હજુ સુધી ભારત, ઓમાન, ઈરાન અને પાકિસ્તાન સહિત અરબી સમુદ્રની સરહદે આવેલા દેશો પર કોઈ મોટી અસરની આગાહી કરી નથી.
જાણો તોફાનનો ટ્રેક કઈ દિશામાં છે?
હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ચક્રવાતનો ટેન્ટેટિવ ટ્રેક ઉત્તર દિશામાં હશે, પરંતુ ઘણી વખત તોફાનો અનુમાનિત ટ્રેક અને તીવ્રતાને ખોટી સાબિત કરે છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડું માત્ર 48 કલાકમાં ચક્રવાતથી ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે, જે અગાઉનું આકલન ખોટું સાબિત કરી શકે છે. વાતાવરણની સ્થિતિ સૂચવે છે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન 12 જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા છે.