- ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં 29 સ્કૂલો, ગાંધી આશ્રમ અને સાબરમતી જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બે ઈ-મેઈલ
- બ્લાસ્ટસ... સ્કૂલ ટુ સાબરમતી જેલ તક... ઈ-થ્રેટના વણથંભ્યા સિલસિલા સામે ગુજરાતનું ગૃહ ખાતું બેદરકાર: હજારો વાલીઓમાં દોડધામ મચી
અમદાવાદ : સ્કૂલોમાં બોમ્બના ધમકીભર્યા ઈ-મેઈલ સાયબર માફિયાઓએ ફરી એક વખત અમદાવાદને બાનમાં લીધું છે અને અવ્વલ ગણાતી અમદાવાદ શહેર પોલીસ આવા આરોપીઓ સામે જાણે લાચાર છે. બુધવારે સવારે શહેરની ૨૯ સ્કૂલો, ગાંધી આશ્રમ અને સાબરમતી જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતાં બે બલ્ક ઈ-મેઈલ પહોંચ્યા હતા. સ્કૂલો ખાલી કરાવવાની સૂચનાઓ મળતાં જ થોડી મિનિટોમાં જ બાળકોના વાલીઓની ભીડ શાળાઓમાં ઉમટવા લાગી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવતી અમદાવાદ શહેર-ગ્રામ્ય તેમજ ગાંધીનગરની જે ૨૯ સ્કૂલોને ઈ-મેઈલ કરાયાં હતા તે સિવાયની અનેક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. કામધંધા મુકીને બાળકોને લેવા માટે વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. કમનસીબી એ છે કે, ચાલુ વર્ષે જ સાયબર માફિયાઓ સ્કૂલો ઉપરાંત હાઈકોર્ટ સહિતના જાહેર અવજવરવાળા સ્થળોએ આવા ધમકીભર્યા ઈ-મેઈલ કરી ચૂક્યાં છે.
આમ છતાં, ગુજરાતનું ગૃહ ખાતું અને પોલીસ નિંદ્રામાં હોય તેમ લોકોને ઉચાટ ન કરવાની સુફિયાણી સલાહ આપી પોતે આરામથી બેસી જાય છે તેવી લાગણી ભય પામતાં નિર્દોષ સામાન્ય નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે. પોલીસ અને સરકાર સલામતીના દાવા કરે પરંતુ લોકોમાં ભય ફેલાવવાના બદઈરાદાઓમાં આવા સાયબર માફિયા સફળ રહે છે તે સરકાર અને પોલીસની નિષ્ફળતાસમાન છે.
''સબ્જેક્ટઃ બોમ્બ બ્લાસ્ટ @ 1;11PM અમદાવાદ ધમાકે - બ્લાસ્ટસ સ્કૂલ્સ ટુ સાબરમતી જેલ તક.'' આવું ધમકીભર્યું લખાણ લખેલા બે બલ્ક ઈ-મેઈલ અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગરની ૨૯ સ્કુલો, અમદાવાદ જેલ અને ગાંધી આશ્રમમાં મોકલાયાં હતાં. અમદાવાદમાં ૨૩ સ્થળો ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની સાત સ્કૂલો તેમજ ગાંધીનગરની એક સ્કૂલને પણ આ પ્રકારના જ ઈ-મેઈલ કરવામાં આવ્યાં હતાં. બુધવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં કુલ ૩૧ સ્થળે મોકલાયેલાં ઈ-મેઈલ વિદેશથી કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે. હોટમેઈલમાં ડમી એકાઉન્ટ ખોલીને વી.પી.એન.નો ઉપયોગ કરીને આ ધમકીભર્યા ઈ-મેઈલ યુ.કે. કે સિંગાર્પારથી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. કેનેડામાં હરદિપ નિજ્જરની ઈન્ડિયન ફૂટ સોલ્જર્સે હત્યા કર્યાનો ઉલ્લેખ કરીને અમિત શાહ (કેન્દ્રિય ગૃહમંત્રી) અને લોરેન્સ બિશ્નોઈ (હાલ અમદાવાદ જેલમાં રહેલો ગેંગસ્ટર) આગામી ૯૦૦ દિવસમાં ખાલિસ્તાન રેફરેન્ડમ ઓર્ગેનાઈઝેશનના ટાર્ગેટ ઉપર હોવાનો ઉલ્લેખ પણ ઈ-મેઈલમાં કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓથી માંડી જાહેર ક્ષેત્ર અને હાઈકોર્ટમાં પણ ધમકીભર્યા ઈ-મેઈલ કરવાનો જોખમી સિલસિલો ચાલી રહ્યો છે. સાયબર માફિયાઓએ અમદાવાદના બાનમાં લીધું હોય અને પોલીસ લાચાર હોય તેવો અહેસાસ અનેક નાગરિકોને થઈ રહ્યો છે. બુધવારે શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જી દેનારા ઈ-મેઈલ પછી પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે. પરંતુ, હજારો પરિવારોમાં હજુ ચિંતા અને ઉચાટ યથાવત છે. ઈ-થ્રેટનો વણથંભ્યો સિલસિલા આચરનાર સાયબર માફિયાઓ સામે ગુજરાતનું ગૃહખાતું અને આધુનિક ગણાવાતું ગુજરાતનું પોલીસ તંત્ર જાણે નિંદ્રામાં હોય અથવા તો લાચાર હોય તેવો અહેસાસ છે. ભય ફેલાવતી સાયબર-થ્રેટ સામે પોલીસ લાચાર હોય તેમ જેમાંથી ઈ-મેઈલ કરાયો તે સર્વર યુ.કે. કે સિંગાપોરમાં હોવાની શંકા દર્શાવી પોલીસ લાચારી દર્શાવી રહી છે.
અમદાવાદ શહેર- ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ગાંધીનગરની કુલ ૨૯ સ્કૂલો તેમજ ગાંધી આશ્રમ અને સાબરમતી જેલમાં મોકલાયેલાં ઈ-મેઈલથી સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યાં હતાં. ધમકીભર્યા ઈ-મેઈલ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં વિધીવત ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડીએવી સ્કૂલના પ્રિન્સીપાલે સરખેજ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.
અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે, એક જ સરખાં લખાણવાળા બે ઈ-મેઈલ નજીકના સમયગાળામાં કુલ ૩૧ સ્થળોએ મોકલીને ભય ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ કરવામાં આવ્યો તેના સર્વર વિદેશમાં હોવાથી આઈપી અને વીપીએન મેળવવામાં સમય વ્યતિત થાય તેમ છે. ઈ-મેઈલમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરાયો છે તે જોતાં લોકોમાં ભય ફેલાવવાનો હેતુ જણાઈ રહ્યો છે. ઊંડાણભરી તપાસ કાર્યવાહી આરંભી દેવાઈ છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ખાલિસ્તાન ઓર્ગેનાઈઝેશન તરફથી ભયઃ ઈ-મેઈલમાં ઉલ્લેખ
''સબ્જેક્ટઃ બોમ્બ બ્લાસ્ટ @ 1;11PM અમદાવાદ ધમાકે - બ્લાસ્ટસ સ્કૂલ્સ ટુ સાબરમતી જેલ તક.
નાઉ અમિત શાહ - લોરેન્સ બિશ્નોઈ વીલ બી ટારગેટેડ ઓન ૯૦૦ ડેયઝ ઓફ ખાલિસ્તાન રેફરેન્ડમ ઓર્ગેનાઈઝર્સ એસસિનેશન ઓફ હરદિપસિંગ નિજ્જર ઈન કેનેડા બાય ઈન્ડિયન ફૂટ સોલ્જર્સ. લોરેન્સ બિશ્નોઈ ઈસ્યૂ ઈઝ ખાલિસ્તાન રેફરેન્ડમ. અત્તવાડી હિન્દુ-ગુજરાતી અમિત શાહ વીલ ફેસ કોન્સિક્વન્સિઝ.'' આ લખાણવાળા બે ઈ-મેઈલ અમિત શાહના મત વિસ્તારમાં આવતી ૨૯ સ્કૂલો ઉપરાંત ગાંધી આશ્રમ અને સાબરમતી જેલમાં મળ્યાં છે જે ગંભીર બાબત છે.
પોલીસ-સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે ગંભીર સવાલો
બોંબની ધમકીઓનું પગેરું કે કારણ કેમ પોલીસ શોધી શકતી નથી...??
ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા છ મહિનામાં ચારથી વધુ વખત બોંબ બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા ઇ-મેલ મળ્યા
અમદાવાદ : અમદાવાદની ૧૧થી વધુ સ્કૂલોમાં આજે બોંબ મૂકાયાની અફવાએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને તો દોડતા કરી નાંખ્યા પણ સાથે સાથે નિર્દોષ બાળકો, વાલીઓ અને નાગરિકોની એક ડર અને ફફડાટ સાથે ઉંઘ હરામ કરી નાંખી..આ પહેલીવાર નથી કે, સ્કૂલોમાં બોંબની ધમકી મળી હોય..અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા છ મહિનામાં ચારથી વધુ વખત બોંબ મૂકાયાના ધમકીભર્યા ઇ-મેલ મળ્યા છે તો એરપોર્ટ, નીચલી કોર્ટ, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ પણ બોંબ મૂકાયાના મેલ મળ્યા છે. જો કે હવે છાશવારે બનતી આવી ઘટનાઓ અને પોલીસ કે તંત્રને મળી રહેલા આ પ્રકારના ઇ-મેલ, ધમકીઓને લઇ હવે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે બહુ ગંભીર સવાલો ઉભા થયા છે.
સામાન્ય નાગરિકથી લઇ ટોચના સંબંધિત સત્તાવાળાઓ અને તંત્રમાં એક જ પ્રશ્ન હાલ તો ચર્ચાઇ રહ્યો છે કે, પોલીસ, તંત્ર કે સુરક્ષા એજન્સીઓ આવા ધમકીભર્યા ઇ-મેલ, ફોન કોલ્સ કે પત્રોનું પગેરું કે કારણ કેમ શોધી શકતી નથી. આવા ધમકીભર્યા ઇ-મેલ છાશવારે કોણ કરે છે અને કયાંથી આવે છે અને કોના ઇશારે તેમ જ કયા કારણથી આ પ્રકારની હીન ગુનાહિત પ્રવૃત્તિ આચરાઇ રહી છે તે બધા મુદ્દે પોલીસ હોય કે સુરક્ષા એજન્સીઓ કોઇપણ ફોડ પાડવા તૈયાર નથી કારણ કે, તેઓને આ સવાલોના જવાબ જ ખબર નથી. પોલીસ, તંત્ર અને સુરક્ષા એજન્સીઓની આવી નિષ્ફળતા અને લાચારી સામે સામાન્ય નાગરિકોમા એક પ્રકારનો આંતરિક રોષ અને વિરોધ પ્રવર્તી રહ્યો છે કે જે લોકોના માથે નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે જો તેઓ જ આવા ધમકીભર્યા ઇ-મેલ કે સંદેશાવ્યવહારનું કારણ અને મૂળ શોધી શકતા ના હોય તો તેઓ કેવી રીતે નાગરિકોની સુરક્ષા કરી શકશે તે યક્ષપ્રશ્ન હવે સામે આવીને ઉભો છે.
ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા છ મહિનામાં ચારથી વધુ વખત બોંબ મૂકાયાના ધમકીભર્યા ઇ-મેલ મળ્યા હતા. તો, નીચલી કોર્ટોમાં પણ કયારેક બોંબ મૂકાયાની ધમકી મળી ચૂકી છે. આ સિવાય અમદાવાદની વિવિધ સ્કૂલોથી લઇ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ બોંબ મૂકાયાની અને બ્લાસ્ટ કરવાની ધમકીઓ મળી ચૂકી છે અને બોંબની ઘમકીઓનો સિલસિલો આજે પણ સમયાંતરે અને છાશવરે ચાલુ જ છે. થોડા મહિના પહેલાં પોલીસે હાઇકોર્ટમાં બોંબ મૂકાયાના અને બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા ઇ-મેલ કરવાના પ્રકરણમાં ચેન્નાઇની એન્જીનીયર યુવતી રેની જોશીલ્ડાની ધરપકડ કરી હતી. જો કે, તેણે બચાવ કર્યો હતો કે, તેણે આ મેલ મોકલ્યા જ નથી, તેને ફસાવવાનું આ કાવતરંં છે. તેની વાતમાં તથ્ય એટલા માટે જણાયું હતું કે, તેની ધરપકડ બાદ પણ આવા ધમકીભર્યા ઇ-મેલ હાઇકોર્ટતી લઇ સ્કૂલો અને જાહેર સ્થળો પર મળવાના ચાલુ રહ્યા હતા અને આજે પણ ચાલુ છે. પોલીસ આવી ધમકીઓના મામલાઓમાં ટેકનીકલ એનાલિસીસ, તપાસ ચાલુ છે સહિતના રૂટીન જવાબો સિવાય કંઇ આપી શકતી નથી. વાસ્તવિકતા એ છે કે, પોલીસ તંત્ર હોય કે સુરક્ષા એજન્સીઓ તેમની પાસે જોઇએ એવા નિષ્ણાત અને એકદમ તજજ્ઞા કહી શકાય એવા સાયબર નિષ્ણાત જ નથી.


