India

ક્રૂડના ભાવ ઘટીને 70-72 ડોલર થયા, પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો જૈસે - થે !

By GS TEAM
26 Jun 20263 mins read
TukuTouch Logo
યુએસ-ઈરાન યુદ્ધ અટકતાં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટ્યા છે. આથી, કેન્દ્ર સરકારે હોટેલ-રેસ્ટોરાં સહિતના ઉદ્યોગો માટે કોમર્શિયલ LPG પુરવઠા પરના નિયંત્રણો હટાવ્યા છે. જોકે, દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી, કારણ કે સરકારી કંપનીઓને હજુ ડીઝલ પર નુકસાન થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડના ભાવ ઘટીને 70-72 ડોલર થયા, પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો જૈસે - થે !
  • યુએસ-ઈરાન યુદ્ધ બંધ થવાથી સરકારને રાહત, જનતાને નહીં
  • કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ઉદ્યોગો માટે કોમર્શિયલ એલપીજીના પૂરવઠા પરના નિયંત્રણો હટાવ્યા
    નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ બંધ થતા અને હોર્મુઝની ખાડી પરની નાકાબંધી દૂર થતાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ગુરુવારે યુદ્ધ શરૂ થયા પહેલાંના સ્તરે પહોંચી ગયા છે. આમ છતાં ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના જણાતી નથી. જોકે, હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલએનજીના ટેન્કરોનું પરીવહન સરળ બનતા ભારતમાં કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ઉદ્યોગો માટે કોમર્શિયલ એલપીજીના પૂરવઠા પરના નિયંત્રણો હટાવી લીધા છે.
    અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતા આંતરરાષ્ટ્રીય બાજરમાં ક્રૂડ ઓઈલના ભાવ ગુરુવારે ફેબુ્રઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદથી સૌથી નીચા સ્તરે પહોંચ્યા હતા. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૭૨-૭૩ ડોલરે પહોંચી ગયું છે જ્યારે અમરેકિન ક્રૂડના ભાવ પણ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે ઉતરી ગયા છે. ક્રૂડના ભાવ ઘટતા વિશ્વમાં ત્રીજા ક્રમના ક્રૂડ આયાતકાર ભારતમાં ફૂગાવાનું જોખમ ઘટી ગયું છે.
    પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલરની ટોચે પહોંચી ગયા હતા. ક્રૂડ ઓઈલના ભાવમાં ગુરુવારે આવેલા તિવ્ર ઘટાડા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૭.૫૦નો વધારો કરાયો હતો.
    અધિકારીઓએ જણાવ્યું કે, ક્રૂડના ભાવ ઘટવાના કારણે સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલના રીટેલ વેચાણથી સારો નફો થઈ રહ્યો છે, પરંતુ ડીઝલના વેચાણ પર હજુ પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. યુદ્ધ સમયે ક્રૂડના ભાવ વધવા છતાં લગભગ અઢી મહિના સુધી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નહોતો.
    સરકારી ઓઈલ કંપની મુજબ આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ભાવની દૈનિક હિલચાલના આધારે ઈંધણના ભાવ નિશ્ચિત થતા નથી. સામાન્ય રીતે સાપ્તાહિક અથવા માસિક સરેરાશના આધારે રીટેલ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના રીટેલ ભાવ નિશ્ચિત કરવામાં ક્રૂડ ઓઈલનું સરેરાશ આયાત મૂલ્ય, રૂપિયા-ડોલરનો વિનિમય દર, રિફાઈનિંગ ખર્ચ, કેન્દ્ર-રાજ્યોનો ટેક્સ અને ઓએમસીની મૂલ્ય નિર્ધારણ નીતિ મહત્વનો ભાગ ભજવે છે. આથી પેટ્રોલ અને ડીઝલમાં હાલ ભાવ ઘટવાની કોઈ શક્યતા જણાતી નથી તેમ સૂત્રોનું કહેવું છે. જોકે, હોર્મુઝની ખાડી પરથી નાકાબંધી દૂર થતા ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલએનજીના જહાજોનું આગમન શરૂ થવાથી કેન્દ્ર સરકારે ગુરુવારે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ઉદ્યોગો જેવા કોમર્શિયલ ગ્રાહકો પર એલપીજીના પૂરવઠાનો મૂકેલો પ્રતિબંધ હટાવી લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે, સ્થાનિક ઉત્પાદન અને એલપીજી કાર્ગોની આયાતનું આગમન શરૂ થવાથી આ નિર્ણય લેવાયો છે. જથ્થાબંધ એલપીજીનો પુરવઠો યુદ્ધ શરૂ થયા પહેલાના ૫૦ ટકા સ્તરે પહોંચી ગયું છે. આથી હવે કોમર્શિયલ એલપીજીનો પુરવઠો તબક્કાવાર રીસ્ટોર કરાશે.