India

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી

By GS TEAM
11 May 20262 mins read
દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી

- મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર : ભારતમાં ટૂંકમાં 'લોકડાઉન'ની આશંકા

- મોંઘવારી ટાળવા, વિદેશી હુંડિયામણ બચાવવા માટે જનતાની સામૂહિક ભાગીદારી જરૂરી : વડાપ્રધાન

- મેટ્રો, જાહેર પરિવહન, ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારો, વિદેશ પ્રવાસ ટાળો, ખાવાના તેલનો વપરાશ ઘટાડો ; પીએમ

સિકંદરાબાદ: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો નજીકના સમયમાં અંત આવે તેવા કોઈ સંકેતો મળતા નથી ત્યારે આ યુદ્ધથી દેશના અર્થતંત્ર પર થઈ રહેલી વિપરિત અસરો ટાળવા વડાપ્રધાન નરન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા, વિદેશ પ્રવાસ ટાળવા અને ફરીથી વર્ક ફ્રોમ હોમ અપનાવવા, વિદેશી હુંડિયામણ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા અપીલ કરી છે. પીએમ મોદીની આ અપીલ દેશમાં નજીકના સમયમાં 'લોકડાઉન'ના સંકેત આપે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સિકંદરાબાદમાં જાહેર સભાને સંબોધન કરતા મધ્ય-પૂર્વના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં ઊર્જા કટોકટી સર્જાઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે અને તેમાં હજુ વધારો થવાની આશંકા છે. આ સિવાય સોના અને ચાંદીના ભાવમાં પણ સતત વધી રહ્યા છે, જેની દેશના અર્થતંત્ર પર ગંભીર વિપરિત અસર પડી રહી છે.

તેમણે કહ્યું કે, હું દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ એક વર્ષ સુધી લગ્ન તેમજ અન્ય કારણોથી સોનાની ખરીદી કરવાનું ટાળે. તેમણે કોરોના કાળનો ઉલ્લેખ કરતા કહ્યું, કોરોના કાળમાં આપણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સ જેવી વ્યવસ્થાઓ અપનાવી હતી. ધીમે ધીમે આપણને તેની આદત પણ થઈ ગઈ હતી. આજના સમયમાં આપણે આ વ્યવસ્થાઓને ફરીથી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું કે, લોકોએ મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો જોઈએ. ખાનગી વાહનોમાં જરૂરી હોય ત્યાં કાર પુલિંગનો વિકલ્પ અપનાવવો જોઈએ. શક્ય હોય તો ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. તેમણે કહ્યું કે, છેલ્લા બે મહિનાથી આપણી પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર દુનિયાની સાથે ભારત પર પડી રહી છે. ભારત પાસે વ્યાપક સ્તર પર ઓઈલના ભંડાર નથી અને યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધોના કારણે ભારતના અર્થતંત્ર અને વિદેશી હુંડિયામણ પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક પ્રવાસનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. બીનજરૂરી વિદેશ યાત્રાઓ ટાળવી જોઈએ. વધુમાં તેમણે લોકોને ખાવાના તેલનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી હતી.

વડાપ્રધાને ઉમેર્યું કે, વૈશ્વિક યુદ્ધોના કારણે ઈંધણ અને ખાતરના ભાવમાં વધારો થયો છે. એવામાં દેશમાં મોંઘવારી ટાળવા માટે દેશવાસીઓની સામૂહિક ભાગીદારી જરૂરી છે. જનતાએ વિદેશી હુંડિયામણ બચાવવા માટે સંયુક્ત પ્રયાસ કરવા પડશે.