Get The App

દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ 1 - image


- દિલ્હી એસીબીનો સિસોદિયા અને જૈન સામે કેસ 

- કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં 12,748 વર્ગખંડોનાં નિર્માણમાં વધારે રકમવાળા ટેન્ડરોને મંજૂરી

- પ્રત્યેક વર્ગખંડનું નિર્માણ 24.86 લાખ રૂપિયામાં કરાયું : આ રકમ સામાન્ય ખર્ચથી પાંચ ગણી વધારે હોવાનો એસીબીનો આરોપ

નવી દિલ્હી : દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં ૧૨,૭૪૮વર્ગખંડોના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ આપ નેતાઓ મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેમ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એસીબીના નિવેદન અનુસાર આ કૌભાંડ ૨૦૦૦ કરોડ રૂપિયાનું છે અને તેમાં ખૂબ જ વધારે રકમ ધરાવતા ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી. પ્રત્યેક વર્ગખંડનું નિર્માણ ૨૪.૮૬ લાખ રૂપિયામાં કરવામાં આવ્યું છે. આ રકમ  સામાન્ય ખર્ચથી પાંચ ગણી વધારે છે.

આ પ્રેોજેક્ટ હેઠળ આમ આદમી પાર્ટી સાથે સંંકળાયેલા કોન્ટ્રાકટરોને કામ સોંપવામાં આવ્યું હતું. તે સમયે સિસોદીયા શિક્ષણ પ્રધાન હતાં અને જૈન પીડબ્લ્યુડી પ્રધાન હતાં.

કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા પીસી એક્ટની કલમ ૧૭-એ હેઠળ ફરિયાદ મળતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે સિસોદિયા અને જૈનને પંજાબ પાર્ટી યુનિટના અનુક્રમે ઇનચાર્જ અને કો-ઇનચાર્જ બનાવવામાં આવતા તેમના પર દબાણ બનાવવા અને તેમને ડરાવવા માટે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

આપના નેશનલ મીડિયા ઇનચાર્જ અનુરાગ ધાન્ડાએ ભાજપની ટીકા કરતા જણાવ્યું છે કે જે રીતે સિસોદિયા અને અન્ય નેતાઓની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પરથી મને લાગે છે કે તેમની વિરુદ્ધ હવે પ્રધાનની ખુરશી પર કબજો કરવા,  દસ્તાવેજમાં અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ ભૂલી જવા બદલ પણ કેસ દાખલ કરવામાં આવશે.

Tags :