Get The App

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 10 હજારની નજીક: 24 કલાકમાં 41નાં મોત

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 10 હજારની નજીક: 24 કલાકમાં 41નાં મોત 1 - image

- દેશમાં 1.86 લાખના ટેસ્ટિંગ થયા 4.3 ટકા કેસ પોઝિટિવ : સ્વાસ્થ્ય મંત્રાલય
- કોરોના રોકવા સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસ પર ભાર મૂક્યો સરકારની તૈયારી એડવાન્સ લેવલની 
-  716 લોકો સાજા થયા કોરોનાના 20 ટકા દર્દીઓને આઈસીયુની જરૂર, 80 ટકા દર્દીની સારવાર કોવિડ કેર સેન્ટરમાં થાય છે : સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2020, સોમવાર

દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 41નાં મોત નીપજ્યાં છે અને નવા 816 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 9,136 થયા છે અને મૃત્યુઆંક 328 થયો છે અને 996 લોકો સાજા થયા છે. 

જોકે, કોરોના સામેની લડતમાં સરકારની તૈયારીઓ એડવાન્સ લેવલની હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. સરકારે કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ કરવા પર વધુ ભાર મૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1.86 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાંથી 4.3 ટકા પોઝિટિવ આવ્યા છે.  

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે એક પત્રકાર પરિષદમાં કોરોના સામેની લડતમાં દેશની તૈયારીઓ અંગેની વિગતો રજૂ કરી હતી. બીજીબાજુ આઈસીએમઆરે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1,86,906 સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાં 4.3 ટકા પોઝિટિવ કેસ મળ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા કોરોનાનો સામનો કરી રહી છે ત્યારે  શરૂઆતથી આપણો પ્રયાસ આગોતરી તૈયારીનો રહ્યો છે. અમે તૈયારીઓની બાબતમાં આ ખતરનાક વાઈરસથી એક પગલું આગળ ચાલી રહ્યા છીએ. દેશ દરેક સ્થિતિ સામે લડવા તૈયાર છે અને આ લડાઈમાં સરકારના બધા જ વિભાગ અને ખાનગી સેક્ટર સામેલ છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં રવિવારે બપોર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ નોંધાયા હતા અને 34ના મોત નીપજ્યાં હતા. જોકે, પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ રવિવારે દેશમાં 9,136 કેસ નોંધાયા હતા અને 328 લોકોનાં મોત નીપજ્યાં હતા. પીટીઆઈની ટેલી મુજબ છેલ્લા 24 કલાકમાં 816 નવા કેસ નોંધાયા છે અને 41 મોત નીપજ્યાં છે. 996થી વધુ લોકો સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

સ્વાસ્થ્ય મંત્રલાયે કહ્યું કે સરકારે તપાસ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેના માટે સમગ્ર દેશમાં 14 ઈન્સ્ટિટયૂટ માર્ક કરાયા છે. અત્યાર દેશનું ફોકસ પોઝિટિવ દર્દીના ક્લિનિકલ મેનેજમેન્ટ પર અને પ્રોટોકોલ ફોલો કરવા પર છે. અગ્રવાલે કહ્યું અમે કોવિડ-19ના કેસોને ઓનલાઈન કર્યા છે.

 લગભગ 80 ટકા કેસ એવા છે, જેની કોવિડ કેર સેન્ટરમાં સારવાર થઈ શકે છે. ક્રિટિકલ કેસને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં વેન્ટિલેટર અને આઈસીયુની સુવિધા ઉપલબ્ધ છે. લવ અગ્રવાલે કહ્યું કે સરકાર એક પગલું આગળની તૈયારીઓ કરી રહ્યું છે.

 આપણે કેસ જોઈએ તો 29મી માર્ચે 979 પોઝિટિવ કેસ હતા. આજે 8,000થી વધુ કેસ છે. તેમાંથી અંદાજે 20 ટકા કેસ એવા છે જેમને આઈસીયુ સપોર્ટની જરૂર પડે છે. આજે પણ આપણી પાસે 1671 એવા દર્દી છે, જેમને આઈસીયુની જરૂર છે. 29મી માર્ચે 163 હોસ્પિટલમાં 41,900 બેડ ઉપલબ્ધ હતા.

 4 એપ્રિલ 67 હજાર બેડ ઉપલબ્ધ હતા. 9 એપ્રિલ 1000 બેડની જરૂર હતી તો 8૫ હજાર બેડ ઉપલબ્ધ હતા. આજે આપણી પાસે 602 હોસ્પિટલોમાં 1 લાખ ૫ હજાર બેડ ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે કેરળમાં 9૫0થી વધુ કાએક હોસ્પિટલ બનાવાઈ છે.

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ કોવિડ માટે ફાળવવામાં આવી છે. આ રીતે દરેક શહેરમાં કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલો બનાવાઈ છે. કટકમાં 1૫0 બેડની હોસ્પિટલ તૈયાર છે. મુંબઈમાં 700 બેડવાળી સધર્ન હોસ્પિટલ છે. આ લડાઈમાં ખાનગી સેક્ટર પણ સામેલ કરાયા છે. અપોલો હોસ્પિટલમાં પણ 4 ટેસ્ટિંગ લેબ બનાવાઈ છે અને 400 બેડ અલગથી ફાળવાયા છે. સૈન્યએ 9000ના બેડ ફાળવ્યા છે અને તેને વધારવાની પણ યોજના છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે ચીન, જાપાન અને કોરિયામાં કોવિડ-19ના કેસોની સંખ્યા ફરીથી વધતાં અમારી ચિંતા વધી છે. આથી કોરોના સામે લડવા માટે 'સોશિયલ ડિસ્ટન્સિંગ' સૌથી અસરકારક હથિયાર છે.  આઈસીએમઆરે જણાવ્યું કે દેશમાં 129 ટેસ્ટિંગ ફેસિલિટી સેન્ટર છે. રવિવાર સુધીમાં 1,86,906 સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાંથી 79૫3 એટલે કે 4.2 ટકા પોઝિટિવ કેસ મળ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સરેરાશરૂપે 16 હજારથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે, જેમાંથી સરેરાશ ૫84 પોઝિટિવ કેસ મળી રહ્યા છે.

Tags :