પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું અવસાન, કોરોના સામે લડી રહ્યા હતા જંગ
Updated: Apr 30th, 2021
- 1971માં તેઓ સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉન્સિલર બન્યા હતા
નવી દિલ્હી, તા. 30 એપ્રિલ, 2021, શુક્રવાર
દેશમાં કોરોનાનો મૃતકઆંક સતત વધી રહ્યો છે. ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. વરિષ્ઠ વકીલ, પૂર્વ એટર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલી સોરાબજીએ શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 1989થી 90 અને પછી 1998થી 2004 સુધી દેશના એટર્ની જનરલ હતા.
સોલી સોરાબજીનો જન્મ 1930માં બોમ્બે ખાતે થયો હતો. તેઓ 1953થી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 1971માં તેઓ સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉન્સિલર બન્યા હતા. તેઓ બે વખત ભારતના એટર્ની જનરલ રહી ચુક્યા છે.
તેમણે દેશના વરિષ્ઠ માનવાધિકાર વકીલ તરીકે ઓળખ મેળવી હતી. 1997માં યુનાઈટેડ નેશને તેમને વિશેષ દૂત બનાવીને નાઈઝીરિયા મોકલ્યા હતા જેથી ત્યાંની માનવાધિકારની સ્થિતિ વિશે માહિતી મળી શકે. ત્યાર બાદ 1998થી 2004 સુધી તેઓ માનવાધિકારોના સંવર્ધન અને સંરક્ષણ પર UN-Sub Commissionના સદસ્ય અને બાદમાં અધ્યક્ષ બન્યા હતા.
તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મોટા પક્ષધર રહ્યા હતા. ભારતની સર્વોચ્ય ન્યાયાલયમાં તેમણે અનેક ઐતિહાસિક પ્રસંગે પ્રેસની સ્વતંત્રતાનો બચાવ કર્યો હતો તથા પ્રકાશનો પર સેન્સરશિપના આદેશો અને પ્રતિબંધોને રદ્દ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માર્ચ 2002માં તેમને બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.