ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત
- દિલ્હી, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં એક-એકનું મોત
- છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 203 નવા કેસ : કેરળમાં સૌથી વધુ 1435 એક્ટિવ કેસ
નવી દિલ્હી : સોમવાર સવારે ભારતમાં એક્ટિવ કોરોના કેસોની સંખ્યા વધીને ૩૯૬૧ થઇ હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં એક જ દિવસમાં ૪૭ નવા કેસો નોંધવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૩ નવા કેસ નોંધવામાં આવ્યા છે.
દિલ્હીમાં કોવિડ-૧૯ના કારણે વધુ એક મોત નોંધવામાં આવ્યું છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ચાર થઇ ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૪૮૩ થઇ ગઇ છે. હાલમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ ૧૪૩૫ એક્ટિવ કેસો છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૦૬, દિલ્હીમાં ૪૮૩, પશ્ચિમ બંગાળમાં ૩૩૯ કેસો અને ગુજરાતમાં ૩૩૮ કેસો છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હી ઉપરાંત કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાને કારણે એક-એક વ્યકિતનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે ૪૪ વર્ષીય પુરુષનું મોત થયું છે.
કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સત્તાવાળાઓ ભારતમાં કોવિડ-૧૯ની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે. મોટા ભાગના દર્દીઓને ઘરે જ સારવાર આપીને સાજા કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે ચિંતાનું કોઇ કારણ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવના જણાવ્યા અનુસાર તાજેતરમાં જોવા મળેલા કોરોનાના કેસોમાં દર્દી ગંભીર રીતે બિમાર પડતો નથી.