મોદી સરકારના સવર્ણ અનામતને શું બંધારણ આપે છે મંજૂરી ?
- શું સવર્ણોના ઉગ્ર વિરોધને ડામવા મોદી સરકારે ‘સવર્ણ અનામત’ની જાહેરાત કરી?
નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી 2019, સોમવાર
મોદી કેબિનેટે ગરીબ સવર્ણોને આર્થિક આધાર ઉપર અનામત આપવાની મજૂરી આપી દીધી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે સવર્ણ મતદાતાઓની નારાજગીને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ત્રણ રાજ્યોમાં બીજેપની સરકારે ધોબી પછડાટ ખાધા બાદ હવે સરકારને સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવાનો છે. દલિતો અને પછાત વર્ગ તરફના વધું પડતા ઝુકાવ કારણે ભાજપને એ આશંકા હતી કે ક્યાંક તેના 'કોર વોટર્સ' દૂર ન જતા રહે !
બંધારણની વર્તમાન વ્યવસ્થામાં આર્થિક આધાર ઉપર અનામત આપવાની કોઈ જ જોગવાઈ નથી. આ પરિસ્થતિમાં સરકારે બંધારણીય સુધારો કરવાની જરૂરત પડશે। આ માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીની સરકારને આવશ્યકતા પડશે.
સવર્ણો માટે અનામત આપવાની પેરવી દલિત નેતા રામદાસ અઠવલે, માયાવતી અને રામવિલાસ પાસવાન અગાઉ કરી ચુક્યા છે. જો કે, આર્થિક આધાર ઉપર અનામત આપવાની બાબતને સુપ્રીમ કોર્ટ અગાઉ નકારી ચુકી છે.
1991માં મંડલ કમિશનનો અહેવાલ લાગુ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ દ્વારા ગરીબ સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ 1992માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવીને ફગાવી દીધો હતો
જાટ અનામતનો અંત લાવવાનો એક ચુકાદો અપાતી વેળા કોર્ટે કહ્યું હતું કે માત્ર પછાત જાતિ- એ આરક્ષણનો આધાર ન હોઈ શકે. રાજસ્થાન સરકારે 2015માં ઉચ્ચ વર્ગના ગરીબો માટે 14% અને પછાત વર્ગના અત્યંત ગરીબ-નિર્ધન માટે 5% અનામતની વ્યવસ્થા કરી હતી. પરંતુ કોર્ટે તેને પણ નકારી કાઢી હતી. હરિયાણા સરકારનો પણ આ પ્રકારનો નિર્ણય કોર્ટમાં ટકી શક્યો નહોતો ! આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયનું શું થશે ?
શું બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ છે આર્થિક અનામત
કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે અંતર્ગત હાલના 50 ટકા અનામતના ક્વોટાની બહાર અનામતનો લાભ અપાશે. પરંતુ સરકારની આ જાહેરાત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકારના આ પ્રસ્તાવને બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધનો માનવામાં આવે છે.
કેન્દ્ર સરકારે જે દાવ ખેલ્યો છે તે અંતર્ગત અનુસૂચિત જાતિ-જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના મળી રહેલા અનામતમાં કોઈ ફેરબદલ નહિ કરવામાં આવે પરંતુ અલગથી ગરીબ સવર્ણોને અનામત આપવામાં આવશે.
આપણા દેશમાં જાતિગત ભેદભાવ પણ ગરીબી અને પછાતપણાનું મુખ્ય કારણ રહ્યું છે, એટલે જાતિના આધારે અનામત એક માપદંડ છે. જો કે આનાથી અસંતોષ પેદા થાય છે અને સમાજના અનેક વર્ગો અલગ-અલગ રાજ્યોમાં આર્થિક આધારે અનામતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને સરકાર ઉપર દબાણ ઉભું કરી રહ્યા છે.
હકીકતમાં બંધારણમાં અનામત અંગે જે જોગવાઇ છે. તે એ જાતિ અને વર્ગો માટે છે તે સામાજિક રૂપે પછાત છે. અને તેમનું સરકારી નોકરીઓ, રાજનીતિ અને શિક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી. આ આધારે જોઇએ તો દલિત અને પછાત વર્ગની સરખામણીએ સવર્ણ અનામત તાર્કિક નથી જણાતું. કેમકે આ તમામ મહત્વના ક્ષેત્રો પર સવર્ણોનું પૂરતું પ્રતિનિધિત્વ જોવા મળે છે.
સવર્ણોને અનામત આપવાના માર્ગમાં સૌથી મોટી અડચણ એ છે કે દેશમાં સવર્ણોનો સામાજિક અથવા આર્થિક સ્તરે કે પછી તેની સંખ્યાને લઇને હજુ સુધી કોઇ સર્વે નથી કરવામાં આવ્યો.
જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ શરૂ તો કરવામાં આવ્યું હતું. પરંતુ તેને અધવચ્ચે જ અટકાવી દેવાયું હતું. આથી સવર્ણોને અનામત આપવાનો માર્ગ અને પદ્ધતિ કઇ હશે. અને આર્થિક પછાતપણાને કેવી રીતે નક્કી કરાશે. આ બંને મહત્વના સવાલો છે.
અનામતનો હેતુ સમાજના ઉપેક્ષિત કે પછાત વર્ગના સમુદાયને આગળ લાવવાનો ઉમદા હતો. અનામત આપવાનો આધાર જાતિ કે વર્ગને એટલે બનાવવામાં આવ્યા કેમકે દેશમાં અનેક જાતિ-વર્ગોના લોકો સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર હતા. આ જાતિઓને મુખ્ય ધારામાં સામેલ કરવા અનામત આપવામાં આવી. અનામત હકીકતે ગરીબી દૂર કરવાનું હથિયાર નથી. પરંતુ સામાજિક ભેદભાવ દૂર કરવાનું સાધન છે. આથી જ બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ જઇને સરકાર આર્થિક રીતે કેવી રીતે અનામત આપશે તે સવાલ છે.
સુપ્રીમ કોર્ટ અનુસાર સામાન્ય સંજોગોમાં 50%થી વધુ અનામત આપી શકાય નહિ. કોર્ટના આ નિર્ણય અનુસાર કોઈ પણ રાજ્ય 50% વધુ અનામત આપી શકે નહિ. અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા અનુસાર, એસ સી માટે 15%, એસટી માટે 7.5% તથા અન્ય પછાત વર્ગો માટે 27% અનામતની જોગવાઈ છે. અહીં આર્થિક આધાર ઉપર અનામતની કોઈ વ્યવસ્થા નથી. આ કારણે જ અત્યાર સુધી જે રાજ્યોમાં આર્થિક આધારે અનામત આપવાનો પ્રયાસ થયો હતો તેને કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.