Congress CWC On MGNREGA: મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાખતા આજે કોંગ્રેસે કાર્યસમિતિની બેઠક યોજી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે 'દેશ આ સમયે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરવામાં આવી રહી છે, સંવિધાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી સામાન્ય નાગરિકના અધિકારોને સંકુચિત કરવામાં આવી રહ્યા છે. ખડગેએ કોંગ્રેસ નેતાઓને ટકોર કરી કે આ ફક્ત સમીક્ષા કરવાનો સમય નથી, પરંતુ આવનારા સંઘર્ષની દિશા નક્કી કરવાનો નિર્ણયાક મોડ છે. '
'પીઠ પાછળ ખંજર ઘોપ્યું'
ખડગેએ શિયાળુ સત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું, કે 'મોદી સરકારે મનરેગા જેવી ઐતિહાસિક યોજનાને કમજોર કરી કરોડો ગરીબ, મજૂર અને ગ્રામીણ પરિવારોની રોજી-રોટી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે ગરીબોના પેટ પર પાટુ મારી, પીઠ પાછળ ખંજર ઘોપ્યું છે. ખડગેએ કહ્યું મનરેગાનો અંત કરવો એક યોજનાનો અંત નથી પણ મહાત્મા ગાંધીના વિચારો અને તેમના સન્માન પર હુમલો છે.'
'દુષ્પરિણામ લાંબા સમયે દેખાશે'
કોંગ્રેસ અધ્યક્ષે અહીં સોનિયા ગાંધીના લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો, 'મનરેગાએ ગાંધીજીના સર્વોદયના સપનાને જમીન પર ઉતારવાનું કામ કર્યું, આ યોજનાનો અંત સામૂહિક નૈતિક નિષ્ફળતાને દર્શાવે છે, જેના સામાજિક અને આર્થિક દુષ્પરિણામ લાંબા સમયે દેખાશે. ખડગેએ યાદ અપાવ્યું કે કામ કરવાનો અધિકાર બંધારણના નીતિ નિર્દેશક અધિકારોની આત્મા છે, જેને UPA સરકારે શિક્ષા, ભોજન, સ્વાસ્થ્ય અને રોજગારના અધિકારોના રૂપમાં મજબૂતી આપી હતી.'
મોટા ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવાની મોદી સરકારની નીતિ
ખડગેએ આ સાથે આરોપ મૂકતા કહ્યું, 'વર્તમાન સરકારની નીતિઓ સામાન્ય નાગરિકના હિતમાં નથી, પરંતુ કેટલાક મોટા ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી રહી છે. તેમણે આ સાથે મહાત્મા ગાંધીના એ વિચારને મૂક્યો હતો જે વિશેષાધિકાર અને એકાધિકારનો વિરોધ કરે છે. ગાંધીજીનું માનવું હતું કે જે વ્યવસ્થા સમાજ સાથે સહભાગી નથી થઈ શક્તિ તે નૈતિક રૂપે સ્વીકાર્ય હોઈ ન શકે, મોદી સરકાર કોઈ પણ ગંભીર અધ્યયન વગર જ રાજ્યો અને વિપક્ષ સાથે ચર્ચા કર્યા વગર મનરેગાને ખતમ કરી નવો કાયદો લાગુ કરી દીધો'
આ પણ વાંચો: LPG, આધાર, પગાર... 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર
મનરેગા મુદ્દે આંદોલનની હાકલ
કોંગ્રેસ અધ્યક્ષે હાકલ કરતાં કહ્યું, 'મનરેગાને બચાવવા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જરૂર છે, તેમણે ભરોસો આપ્યો કે જેવી રીતે કૃષિ કાયદા સાથે સંઘર્ષ સફળ રહ્યો તેવી જ રીતે આ મુદ્દા પર જનતાની તાકાત સરકારને ઝૂકવા મજબૂર કરશે. ભવિષ્યમાં મનરેગાનું પુનઃસ્થાપન નક્કી છે.'


