'ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો...', પોલીસ અધિકારી પર ભડક્યા કોંગ્રેસ નેતા
Madhya Pradesh MLA Abhijeet Shah Viral Video: મધ્યપ્રદેશના હરદામાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે કલેક્ટર કાર્યાલયમાં જઈ રહેલા ટિમરનીના કોંગ્રેસ ધારાસભ્ય અભિજીત શાહને દરવાજા પર જ અટકાવતા ગુસ્સે થયા હતા. પોલીસે અધિકારીએ તેમનો હાથ પકડી અટકાવ્યા હતા. જેથી નારાજ ધારાસભ્યે હોબાળો કર્યો હતો. હોબાળો સાંભળી દિગ્વિજય સિંહે પોતાના ધારાસભ્ય પુત્ર જયવર્ધનસિંહને મોકલ્યા હતા. તેમણે મામલો થાળે પાડ્યો હતો.
હરદામાં કોંગ્રેસ ધારાસભ્યનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 14 જુલાઈની સાંજનો છે. ટિમરનીના ધારાસભ્ય અભિજીત શાહ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સાથે કલેક્ટર ઑફિસ જઈ રહ્યા હતા. મોડું થતાં તેઓ પાછળ રહી ગયા હતા. અંદર પ્રવેશતી વખતે એક પોલીસ અધિકારીએ તેમને અટકાવ્યા હતા, અને હાથ પકડી લીધો હતો. જેથી ધારાસભ્ય ભડકી ઉઠ્યા હતા. તેમણે અધિકારીને કહ્યું કે, 'હું ધારાસભ્ય છું, તે મારો હાથ પકડ્યો જ કેમ...'
જયવર્ધનસિંહે મામલો થાળે પાડ્યો
ધારાસભ્ય આકરા અંદાજમાં પોલીસ અધિકારી સાથે તુતુ-મેંમેં કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ બાદમાં માફી માગી હતી. જેથી દિગ્વિજય સિંહે તુરંત પોતાના MLA પુત્ર જયવર્ધનસિંહને મોકલ્યા હતા. જયવર્ધનસિંહે અભિજીત શાહને શાંત પાડ્યા હતા. ધારાસભ્ય શાહે કહ્યું હતું કે, મને પણ રાજપૂત સમજી અંદર જતાં અટકાવવામાં આવ્યો. કદાચ મારા કપડાંના કારણે મને ઓળખી શક્યા નહીં. ઉલ્લેખનીય છે, હરદામાં કરણી સેનાના દેખાવો બાદ લાઠીચાર્જ થયો હતો. જેથી પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ હરદા પહોંચ્યા હતાં. જ્યાં રાજપૂત સમાજના લોકોને મળી ઘટનાની જાણકારી લીધી હતી.
આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ્યો નવો રાજકીય પક્ષ, જાણો શું છે ઈરાદો
ન્યાયિક તપાસની માગ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પદ પરથી દૂર કરી ન્યાયિક તપાસ થવી જોઈએ. હરદા પોલીસે રાજપૂત સમાજના લોકોને નામ પૂછ્યું, જેના નામની આગળ સિંહ લાગેલું હતું તેમને માર માર્યો હોવાનો આરોપ પોલીસ પર મૂકવામાં આવ્યો છે. હરદાના કલેક્ટર, એસપી, એસડીએમ, એસડીપીઓને પદ પરથી દૂર કરવા જોઈએ. જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ થઈ શકે. કરણી સેનાની સાથે રાજપૂત હોસ્ટેલ અંદર થયેલી લાઠી ચાર્જમાં પોલીસે નિર્દોષો પર બર્બરતા આચરી છે. જેની અમે નિંદા કરીએ છીએ.
દિગ્વિજયસિંહે ખુલાસો કર્યો હતો કે, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીવનસિંહ શેરપુરને હોટલમાંથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસ્તારમાં બોલાવી મારપીટ કરી હતી. આ સમગ્ર મામલો 12 અને 13 જુલાઈના સીસીટીવી ફૂટેજમાં સામેલ છે. જેના આધારે કોઈ નિવૃત્ત જજની મદદથી ન્યાયિક તપાસ કરવાની માગ છે.