લઘુમતિને સંવિધાન પ્રમાણે આરક્ષણ ન મળે કોંગ્રેસે વોટ-બેન્ક માટે તે આપ્યું હતું : અમિત શાહ
Updated: Mar 27th, 2023
આરક્ષણ ધર્મ આધારિત નથી : ગૃહમંત્રી
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે 4% આરક્ષણ લઘુમતિને આપ્યું તે દૂર કરી 2% વોકલિંગ અને ૨% લિંગાયતને આપવામાં આવ્યું છે
નવીદિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંગે રાજનૈતિક ગરમા-ગરમી ચરમ સીમા તરફ જઈ રહી છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના વીદર જિલ્લાની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન તેમણે મુસ્લીમોને આરક્ષણ (રીઝર્વેશન) આપવા અંગે કહ્યું હતું કે, સંવિધાનમાં તે માટે કોઈ જોગવાઈ નથી. વાસ્તવમાં આરક્ષણ ધર્મ-આધારિત રાખવાની કોઈ જોગવાઈ જ નથી.
પૂર્વેની કોંગ્રેસ સરકારે કર્ણાટકમાં મુસ્લીમોને ૪% આરક્ષણ આપવા જોગવાઈ કરી હતી. પરંતુ તે પછી ભાજપ સરકારે તે દૂર કરી તે ૪%ને બે ભાગમાં વહેંચી ૨% વોકલિંગ અને ૨% વીરશૈવ તથા લિંગાયતોને આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની ભાજપ સરકારે ૨-બી આરક્ષણસુચિમાંથી મુસ્લિમ વર્ગને હઠાવી દીધો હતો. કારણ કે સંવિધાનની જોગવાઈ પ્રમાણે તે શક્ય ન હતું.
સરકારના આ નિર્ણય પછી મુસ્લિમ વર્ગે ઇકોનોમિકલી વીક સેકશન (ઇડબલ્યુએસ) ક્વોટામાં પ્રતિ સ્પર્ધા કરવી પડશે. જે કુટુમ્બની આવક ઉપર આધારિત રહેશે.
દરમિયાન, કર્ણાટક સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકારવા મુસ્લિમ નેતાઓએ નિર્ણય લીધો છે.
ઉલેમા કાઉન્સીલના સભ્ય અને જામીયા મસ્જિદના મૌલવી મકસૂદ ઇમરોને કહ્યું હતું કે આજે શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમોની સ્થિતિ અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) કરતાં પણ નીચે છે. તે ઉપરથી તમો મુસ્લિમ ઉપર થતા અત્યાચારનો અંદાજ લગાવી જ શકો છો.