CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'દેશથી શું છૂપાવવામાં આવ્યું?'
Mallikarjun Kharge Questions: ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં એ દાવાને ફગાવ્યો હતો કે જેમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાની વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનનો આ દાવો તદ્દન ખોટો છે.
મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સીડીએસ ચૌહાણ દ્વારા સિંગાપુરમાં આપવામાં આવેલા ઈન્ટરવ્યૂથી કેટલાક મહત્ત્વના સવાલ ઉભા થઈ રહ્યા છે, જેને પૂછવા જરૂરી છે. આ સવાલ ત્યારે જ પૂછી શકાય છે, જ્યારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. મોદી સરકારે દેશના ગુમરાહ કર્યો છે, પરંતુ હવે ધીરે ધીરે બધુ સ્પષ્ટ થઈ રહ્યું છે.
આપણા ભારતીય વાયુસેનાના જવાનએ દુશ્મનો સાથે લડતા સમયે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. હવે કેટલીક ક્ષતિ પણ પહોંચી, પરંતુ આપણા જવાન સુરક્ષિત છે. સીડીએસના ઈન્ટરવ્યૂ અનુસાર, આપણે એક ભૂલને સુધારી, તેને ફરી લાગુ કરાય અને પછી બે દિવસ બાદ પોતાના વિમાનોને ઉડાવ્યા અને દુશ્મન પર લાંબા અંતરથી હુમલા કર્યા.
ખડગેએ માગ કરી છે કે, સમગ્ર સ્થિતિને લઈને એક સ્વતંત્ર વિશેષજ્ઞ સમિતિ દ્વારા રક્ષા તૈયારીઓની મોટા પ્રમાણમાં સમીક્ષા થવી જોઈએ. જેમ કે કારગિલ સમીક્ષા સમિતિ દ્વારા કરાઈ હતી.
યુદ્ધવિરામને લઈને કોંગ્રેસે ફરી મોદી સરકારને ઘેરી
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની વાત કરી ફરી કહી છે. જો એવું હોય તો આ શિમલા સમજૂતી (1972)નું ઉલ્લંઘન છે. ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટતા આપવાની જગ્યાએ ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે. આ મુદ્દે સરકાર તરફથી પારદર્શકિતા નથી દેખાઈ રહી. ત્યાં સુધી કે અમેરિકન વાણિજ્ય સચિવે પણ એક કોર્ટમાં દાખલ સોગંદનામામાં યુદ્ધવિરામની પુષ્ટિ કરી.
ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી હાલના દિવસોમાં ચૂંટણીમાં વ્યસ્ત છે અને સુરક્ષાદળોની વીરતાનો વ્યક્તિગત શ્રેય લઈ રહ્યા છે. જવાનોની બહાદુરીને છૂપાવવામાં આવી રહી છે અને યુદ્ધવિરામની રૂપરેખાને સ્પષ્ટ રીતે બતાવવાથી બચી રહ્યા છે.
જયરામ રમેશે શું કહ્યું?
કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળને અઘોષિત ઇમરજન્સી ગણાવી છે. તેમણે X પર પોસ્ટ કરતા મોદી સરકાર પર સીડીએસના નિવેદનના નિવેદનને લઈને પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું કે, 11 વર્ષથી ચાલી રહેલી અઘોષિત ઇમરજન્સી પર આ એક અસાધારણ સ્થિતિ છે કે વડાપ્રધાન ન તો સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે છે, ન તો સંસદને ભરોસામાં લે છે- પરંતુ દેશના ઓપરેશન સિંદૂરના પહેલા તબક્કાની માહિતી સિંગાપુરમાં આપવામાં આવેલા CDSના ઇન્ટરવ્યૂ દ્વારા મળે છે. શું વડાપ્રધાન વિપક્ષી નેતાઓને પહેલાથી જ વિશ્વાસમાં નથી લઈ શકતા?
કોંગ્રેસે વીડિયો શેર કરી સવાલ કર્યો
આ મામલે કોંગ્રેસે પણ વીડિયો શેર કરી સરકાર સામે સવાલ કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે, કે 'અનિલ ચૌહાણ તેમના નિવેદનમાં માની રહ્યા છે કે ભારતે ફાઈટર જેટ ગુમાવ્યાં છે. તો પછી મોદી સરકાર આ વાત કેમ છુપાવી રહી છે?'
વિમાન પડ્યા મહત્ત્વના નથી, અમે શું શીખ્યા એ મહત્ત્વનું: CDS જનરલ અનિલ ચૌહાણ
CDS જનરલ અનિલ ચૌહાણે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, 'કોઈ પણ યુદ્ધ નુકસાન વગર લડી શકાય નહીં. ભારતે પાકિસ્તાનને જે પ્રભાવી રૂપથી જવાબ આપ્યો. મહત્ત્વની વાત એ છે કે અમે ભૂલોને સમજી તેમાં સુધારો કરી શકીએ છીએ.' પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતના છ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. જેના જવાબમાં અનિલ ચૌહાણે કહ્યું છે, કે 'તદ્દન ખોટું. ગણતરી મહત્ત્વની નથી, મહત્ત્વનું એ છે કે વિમાન કેમ પડ્યા અને અમે શું શીખ્યા? અને તેમાં શું સુધારો કર્યો.'
નોંધનીય છે કે આ ઈન્ટરવ્યૂ પહેલા CDS જનરલ અનિલ ચૌહાણે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું. સિંગાપોરમાં આયોજિત 22માં શાંગરી-લા ડાયલોગમાં તેમણે કહ્યું હતું, કે 'પાકિસ્તાનને અનેક વખત ભારતને દગો આપ્યો. ભારત નથી બદલાયું, પણ અમારી રણનીતિ બદલાઈ છે. આજે ભારત વિવિધતા છતાં આર્થિક, સામાજિક, GDP તથા માનવ વિકાસ સહિત તમામ મોરચે પાકિસ્તાનથી ક્યાંય આગળ છે.'