રાહુલના સમર્થનમાં વિપક્ષ એકજૂટ, કોંગ્રેસી દિગ્ગજો સાથે તૃણમૂલના સાંસદો પણ કાળા કપડાં પહેરીને આવ્યા
રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત
ગાંધી પ્રતિમા પાસે વિપક્ષી નેતાઓનું વિરોધ પ્રદર્શન
આજે સાંસદોના વિરોધ વચ્ચે, સંસદના બંને ગૃહો કાર્યવાહી શરૂ થયાની સાથે જ હોબાળા વચ્ચે ઘેરાઈ ગયા હતા. રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષના સાંસદો અદાણી ગ્રુપના મુદ્દા અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવા મુદે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
ગાંધી પ્રતિમા પાસે વિપક્ષી નેતાઓનું પ્રદર્શન
અદાણી જૂથના મુદ્દે વિપક્ષી સાંસદોએ કાળા કપડા પહેરીને સંસદમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેલંગાણામાં કોંગ્રેસના હરીફ કે.ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણમૂલના સાંસદો અને શિવસેનાએ પણ કાળા કપડા પહેરી વિરોધમાં જોડાયા હતા.
સરકાર વિપક્ષથી ડરી રહી છે - રણજીત રંજન
કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, લોકશાહીનો અવાજ દબાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તમે લોકસભામાંથી વિપક્ષના અવાજને દબાવી રહ્યા છો. વિપક્ષ કૌભાંડની વાત શું કામ ન કરે. આ સરકારને રાજાશાહી જોઈએ છે. સરકાર આજે વિપક્ષથી ડરી ગઈ છે.
કોંગ્રેસ લોકશાહી માટે ખતરો નથી - કિશન રેડ્ડી
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે, કોંગ્રેસથી લોકશાહીને જોખમ નથી, તેથી તેમણે કોંગ્રેસ બચાવો ના નામે ભારત જોડો યાત્રા કાઢી હતી. તેઓ લોકશાહીની વાત કરી રહ્યા છે, પરંતુ તેમને બોલવાનો કોઈ અધિકાર નથી કારણ કે કોંગ્રેસે ઈમરજન્સી દરમિયાન લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા.