બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sigandur Bridge: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે (14મી જુલાઈ) કર્ણાટકના શિવમોગામાં દેશના બીજા સૌથી લાંબા કેબલ-સ્ટેડ સિગંદૂર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના કેબિનેટ સાથીઓએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે 'નીતિન ગડકરીએ અમને આમંત્રણ આપ્યું નહતું.'
સીએમ સિદ્ધારમૈયાએ પીએમ મોદીને પત્ર લખ્યો
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર પર પ્રોટોકોલનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્રમાં દાવો કર્યો હતો કે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે રાજ્ય સરકારની સલાહ લીધા વિના શિવમોગાના સાગરા તાલુકામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને કોઈપણ પૂર્વ સૂચના વગર આમંત્રણ કાર્ડ પર તેમનું નામ લખાયું હતું.
નીતિન ગડકરીનું આમંત્રણ
અગાઉ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટમાં લખ્યું કે, 'સીએમ સિદ્ધારમૈયાને 11મી જુલાઈના રોજ યોજાનાર કાર્યક્રમની અધ્યક્ષતા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંબંધિત કોઈપણ સંભવિત પડકારને ધ્યાનમાં રાખીને, 12મી જુલાઈના રોજ બીજો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ માધ્યમ દ્વારા તેમની હાજરીની અપીલ કરવામાં આવી હતી.'
આ પણ વાંચો: યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ
મને આમંત્રણ આપવામાં આવ્યું નથી: સીએમ સિદ્ધારમૈયા
મીડિયા સાથેની વાતચીતમાં સીએમ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'અમે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા નથી, કારણ કે મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મેં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ફોન પર વાત કરી અને તેમને આ વિશે જાણ કરી. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ મુલતવી રખાશે. પછી મેં તેમને પત્ર લખ્યો. કદાચ ભાજપના નેતાઓના દબાણને કારણે તેમણે મને કંઈપણ કહ્યા વિના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું નથી જઈ રહ્યો. મારો એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ છે. જે કાર્યક્રમ એક મહિના પહેલા નક્કી કરવામાં આવ્યો હતો, હું ત્યાં જઈ રહ્યો છું.'








