હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ
Mamta Banerjee On PM Modi : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ TMC સરકાર પર પ્રહાર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, બંગાળ વિરુદ્ધ નિવેદનબાજી યોગ્ય નથી. ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે,‘વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેનાથી અમને આઘાત લાગ્યો છે અને તે સાંભળવું દુર્ભાગ્યપૂર્ણ પણ છે.’
મમતા બેનર્જીનો PM મોદીને પડકાર
મમતાએ કહ્યું કે, ‘સમગ્ર વિપક્ષ દુનિયામાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને દેશના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે એક સાહસિક પગલું ભરી રહ્યા છે, પરંતુ શું વડાપ્રધાન અને તેમના નેતાઓ માટે એવું કહેવાનો સમય આવી ગયો છે કે, તેઓ ઓપરેશન સિંદૂરની જેમ ઓપરેશન બંગાળ પણ કરશે. હું તેમને પડકાર ફેંકું છું કે, જો તેમનામાં હિંમત હોય તો કાલે ચૂંટણી મેદાનમાં આવે, અમે તૈયાર છીએ અને બંગાળ તમારા પડકારને સ્વીકારવા તૈયાર છે. અમારા પ્રતિનિધિ અભિષેક બેનર્જી પણ વિદેશ ગયેલા પ્રતિનિધિમંડળની ટીમમાં છે અને તેઓ દરરોજ આતંકવાદ વિરુદ્ધ બોલી રહ્યા છે.’
વડાપ્રધાન જુઠ્ઠું બોલી રહ્યા છે : મમતા બેનર્જી
તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી જુઠ્ઠું બોલી રહ્યા છે. તેઓ દેશને લૂંટે છે અને ભાગી જાય છે. આવી વાત કરવી સારી નથી. હું ઓપરેશન સિંદૂર પર કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી, પરંતુ યાદ રાખ જો દરેક મહિલાનું સન્માન હોય છે. જ્યારે અમે આતંકવાદ સામે કેન્દ્રને સમર્થન આપી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાન પશ્ચિમ બંગાળની ટીકા કરી રહ્યા છે. તેમની નીતિ ભાગલા પાડો અને રાજ કરો જેવી છે. કેન્દ્રએ રાજકીય હેતુઓથી ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.’
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?
અલીપુરદ્વારમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ‘બંગાળની પ્રજાને હવે TMC સરકારની વ્યવસ્થામાં વિશ્વાસ રહ્યો નથી. અહીંની પ્રજા પાસે માત્ર કોર્ટનો જ સહારો છે, તેથી આખું બંગાળ કહી રહ્યું છે કે, ‘બંગાલ મે મચી ચીખ-પુકાર, નહીં ચાહિએ નિર્મમ સરકાર.’