Get The App

મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું 1 - image


Maharashtra Mahayuti Alliance: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણમાં મોટો ફેરફાર થવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. મનસેના વડા રાજ ઠાકરેની મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાતે પહેલાથી જ અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. હવે સીએમ ફડણવીસે જાહેર સભામાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના વિભાગને જાહેરમાં ઠપકો આપતાં ચર્ચાઓ વધી છે કે, શું મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં તિરાડ પડશે? શું શિંદેની શિવસેના મહાયુતિથી અલગ થશે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એનડીએમાં પરત ફરશે? સીએમ ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચેની મુલાકાત અને શિંદેના વિભાગને આપવામાં આવેલી કડક ઠપકો કેટલાક મોટા રાજકીય સંકેતો આપી રહ્યા છે.

શિંદેના વિભાગની કામગીરીની કરી ટીકા

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતાં જાહેર સભામાં તેની ખરાબ કામગીરી વિશે ઠપકો આપ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓની સમીક્ષા બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. UDD-2 નું નેતૃત્વ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે કરી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, જાહેર આરોગ્ય રાજ્યમંત્રી મેઘના બોર્ડીકર સહિત ઘણા વિભાગોના મંત્રીઓ અને સચિવો બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે, શિંદે પોતે બેઠકમાં ઉપસ્થિત ન હતાં. ફડણવીસે તમામ વિભાગોને કેન્દ્રીય યોજનાઓને ઝડપી ગતિએ અમલમાં મૂકવા નિર્દેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને UDD-2 ની ટીકા કરી હતી, જે મ્યુનિસિપલ સંસ્થાઓને લગતા કામનું ધ્યાન રાખે છે. મુખ્યમંત્રીએ AMRUT 2.0 (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) યોજનાઓમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ યોજના 2021 માં શરૂ થઈ હતી અને માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની છે. મહારાષ્ટ્રને આ માટે કેન્દ્ર તરફથી 9,000 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે.

આ પણ વાંચોઃ વોશિંગ્ટનમાં નહીં નવી દિલ્હીમાં થશે રશિયા-યુક્રેન સીઝફાયર? ઝેલેન્સ્કીની ભારત યાત્રા માટે તૈયારી શરૂ

ફડણવીસનો આકરો આદેશ

મુખ્યમંત્રી ફડણવીસે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'અમૃત મિશન હેઠળ, શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો, સ્વચ્છતા, ગ્રીન પાર્ક અને તળાવોના પુનરુત્થાન જેવા કામો કરવામાં આવી રહ્યા છે. આ મિશન નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. તેથી, તમામ બાકી રહેલા કામો 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવા જોઈએ. બાકી વહીવટી મંજૂરી પણ તાત્કાલિક આપવી જોઈએ.' તેમણે 15મા નાણા પંચ તરફથી મળેલા અનુદાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત આરોગ્ય માળખાગત મિશન જેવી આરોગ્ય સંબંધિત યોજનાઓની પણ સમીક્ષા કરી.

મુખ્યમંત્રી ફડણવીસે વિભાગોને જરૂરી મંજૂરી મેળવ્યા વિના પ્રોજેક્ટ શરૂ ન કરવા, વિભાગો વચ્ચે વધુ સારું સંકલન બનાવવા અને જરૂર પડ્યે મુખ્યમંત્રી કાર્યાલયની મદદ લેવાનું સૂચન કર્યું હતું બીજી તરફ, શિંદેના વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રીએ અધિકારીઓને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે અને જવાબદારી નક્કી કરવાના આદેશો જાહેર કરાયા છે.

શિંદે પાણી પુરવઠા યોજના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં

શિંદેના વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'જો AMRUT 2.0 અને નગરોત્થાન મહાભિયાન જેવા પ્રોજેક્ટ્સમાં કોઈ વિલંબ થશે તો કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અથવા જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. વિવાદ વચ્ચે, શિંદેએ શનિવારે છત્રપતિ સંભાજી નગરમાં ફડણવીસ દ્વારા આયોજિત પાણી પુરવઠા યોજના કાર્યક્રમ પણ મુલતવી રાખ્યો હતો. શિંદે જૂથના મંત્રી પ્રતાપ સરનાઈકે તેમની ગેરહાજરી અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, 'મને ખબર નથી કે તેઓ આજે કાર્યક્રમમાં કેમ ન આવ્યા, પરંતુ ગઈકાલે રાત્રે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથેની બેઠકમાં હાજર હતા. જ્યાં સુધી વિભાગની કામગીરીનો સવાલ છે, શિંદે તેને કાર્યક્ષમ રીતે ચલાવી રહ્યા છે અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી ચૂક્યા છે.'

મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું 2 - image

Tags :