દેશનું પ્રથમ સાઈલેન્ટ સ્ટેશન બન્યું ચેન્નાઈ સેન્ટ્રલઃ આ રીતે મળશે હવે ટ્રેનોની માહિતી
ચેન્નાઈ, તા. 01 માર્ચ 2023, બુધવાર
રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા બાદ સૌથી પહેલા તમને જે સંભળાય છે તે છે ટ્રેનોની અવર-જવર સાથે જોડાયેલી જાહેરાત. પ્રવાસીઓ કૃપા કરીને ધ્યાન આપો! આ વાક્ય રેલવે સ્ટેશનનું પ્રતીક બની ગયું છે. જો કે, હવે ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન સાઈલેન્ટ સ્ટેશન બની ગયું છે. ડો. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશને ઓડિયો જાહેરાતો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દેશમાં આવું પહેલું રેલવે સ્ટેશન છે. હવે આ સ્ટેશન પર વિઝ્યુઅલ ડિસ્પ્લે અને ઈન્ક્વાયરી બૂથ દ્વારા જ ટ્રેનો વિશેની માહિતી ઉપલબ્ધ થશે.
શનિવારના રોજ સાઉથ રેલ્વે જનરલ મેનેજર આર.એને આ નિર્ણનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે તમામ ડિસ્પ્લે બોર્ડ યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે તેની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઈન્કવાયરી બારીઓ પર પણ પૂરતો સ્ટાફ મુકવામાં આવ્યો છે. ત્રણેય એન્ટ્રી પોઈન્ટ પર ડિજિટલ સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.
આ સ્ક્રીનો પર 3 ભાષાઓમાં ટ્રેનોની અવરજવર વિશે માહિતી આપવામાં આવશે. તમિલ, અંગ્રેજી અને હિન્દીમાં માહિતી દેખાશે. આસપાસના વિસ્તારોમાં 3 ડિજિટલ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જો કે સબઅર્બન ટ્રેનોની જાહેરાત ચાલુ રહેશે. આ અંગે લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો કહે છે કે જાહેરાતથી માહિતી એકઠી કરવી સરળ હતી. ત્યારે ઘણા લોકો કહે છે કે આના કારણે અભણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. દિવ્યાંગો માટે બ્રેઈલ નેવિગેશન નકશા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન આશરે 150 વર્ષ જૂનુ છે. આ સ્ટેશન પર પ્રથમ વખત આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. હવે યાત્રીઓ અને કર્મચારીઓના ફીડબેક લેવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે આ સિસ્ટમ અસરકારક છે કે નહીં.