કરોડો ગ્રાહકોને બદલાવવા પડશે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ..જાણો કેમ
Updated: Sep 23rd, 2018
નવી દિલ્હી, તા. 23. સપ્ટેમ્બર 2018 રવિવાર
બેંકોએ મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આગામી દિવસોમાં લાખો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોએ પોતાના કાર્ડ બદલાવવા પડશે.
હાલમાં કાર્ડ બે પ્રકારના આવે છે. એક પ્રકારના કાર્ડમાં પાછળની તરફ મેગ્નેટિક સ્ટ્રાઈપ હોય છે. અન્ય પ્રકારના કાર્ડમાં ચીપ લાગેલી હોય છે. આરબીઆઈના આદેશ પ્રમાણે મેગ્નેટિક કાર્ડને હવે ચીપ વાળા કાર્ડથી રિપ્લેસ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર 2018ની ડેડલાઈન આપવામાં આવી છે. એ પછી બેંકો મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડ બંધ કરી દેશે.
આરબીઆઈનુ કહેવુ છે કે મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડની ટેકનોલોજી જુની છે અને આવા કાર્ડ બનાવવાનુ બંધ થઈ ગયુ છે. આ કાર્ડ પુરી રીતે સુરક્ષિત પણ નથી. જેનાથી જ તે બંધ કરવામાં આવી રહ્યા છે.
હાલમાં દેશમાં 3.90 કરોડ એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને 9.40 કરોડ ડેબિટ કાર્ડ હોલ્ડર્સ છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ બદલવા માટે 31 ડિસે્મબરની તારીખ આપવામાં આવી છે. એ પછી બેન્ક મેગ્નેટિક સ્ટ્રાઈપવાળા કાર્ડ બ્લોક કરી દેશે. ગ્રાહકોને મેગ્નેટિકની જગ્યાએ ચીપવાળા કાર્ડ બદલવા માટે કોઈ ચાર્જ નહી આપવો પડે.